Site icon Revoi.in

ઝાલાવાડમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને ચુસિયા રોગથી ખેડૂતો પરેશાન

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કપાસનું સારૂ એવું વાવેતર થયુ હતું. અને સમયાંતરે પડેલા વરસાદને કારણે કપાસનો પાક પણ સારોએવો ફાલ્યો છે. અને પાક નીકળવાની તૈયારીમાં છે. ત્યારે કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને ચુસીયાના રોગથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે દવાનો છંટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાય છે, તેમ કૃષિ નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા પંથક પિયત વિસ્તાર છે. બોર અને નર્મદા કેનાલની સુવિધા હોવાથી ચોમાસામાં 25,000 હેકટરમાં કપાસનુ વાવેતર થયેલું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઝાલાવાડમાં ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયુ છે. એમાં કપાસનું વાવેતર સૌથી વધુ થયુ છે. જિલ્લામાં સારા વરસાદને કારણે કપાસનો પાક સારોએવો ફાલ્યો છે. જેથી ખેડુતો ખૂશખૂશાલ બન્યા હતા.

છેલ્લા કેટલાક દિવસથી કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને ચુસીયાના રોગથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ધ્રાંગધ્રા તાલુકામાં કપાસના પાકમાં રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. દવાના છંટકાવ કરવા છતાં ગુલાબી ઈયળનો નાશ થતો નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતોના કહેવા મુજબ કપાસના પાકનુ વાવેતર કરી સારી કમાણી થવાની આશાએ હતી. પણ પાક ઉપર આવી ગયા છે. ત્યારે થોડા દિવસથી ગુલાબી ઈયળ અને ચુસીયાનો રોગનો ઉપદ્રવ વધતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતોને મોંઢામા આવેલો કોળીયો ઝુટવાઈ જવાની ભીતિ સતાવી રહી છે.

ચોમાસામાં વરસાદ બાદ રોગના નુકસાનથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવા હાલ થયા છે. ત્યારે આ અંગે કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું કે, કપાસમાં ગુલાબી ઈયળ, ચુસીયા રોગને લઈને નુકસાન થાય છે.

આથી પાકમાં માઈકોઝેમ પાવડર અને પ્રોફેનોફોસના દવાનો છંટકાવ કરી નિયંત્રણ મેળવી શકાય છે. અને જો જરૂર જણાય તો કૃષિ નિષ્ણાંતને રૂબરૂ મળી તેમની મુલાકાત લેવડાવી સલાહ લેવી જોઈએ.