Site icon Revoi.in

ગાંધીનગરઃ કેરી રસિકો માટે રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન

Social Share

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. 27 થી 29 મે દરમિયાન ગાંધીનગરના રામકથા મેદાન, સેક્ટર-૧૧ ખાતે “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્ઘાટન કરશે.

આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવશે. જેમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરીનું તેમજ પંજાબની ચૌસા અને માલ્દા, હરિયાણાની ફઝલી, રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ, આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબખસ અને હિમસાગર, બિહારની કિસનભોગ અને જર્દાલુ જેવી અનેક પ્રકારની કેરીના પ્રદર્શન સહ વેચાણના સ્ટોલ્સ પણ લગાવવામાં આવશે.

ઉપરાંત આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ મનોરંજક સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ બાળકો માટે એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.