Site icon Revoi.in

રાજકોટમાં ગણેશોત્સવમાં ગણેશજીની મુર્તિ 9 ફુટથી વધુ ઊંચી અને POPની ખરીદવા-વેચવા સામે પ્રતિબંધ

Social Share

રાજકોટઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગણપતિજીની 9 ફુટથી વધુ ઊંચાઈની મૂર્તિઓ સ્થાપી શકકાશે નહીં ઉપરાંત પીઓપીની મૂર્તિઓ પણ ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પંડાલમાં યોજાતા ગણેશોત્સવમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં સાર્વજનિક પંડાલોમાં ગણેશજીની મૂર્તિ કેટલી ઉંચાઇની સ્થાપી શકાય તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિઘ્ધ કર્યું છે. આ જાહેરનામામાં ગણેશ મહોત્સવમાં વધુમાં વધુ નવ ફુટની ઉંચાઇની મૂર્તિ સ્થાપી શકાશે જયારે પીઓપીની મૂર્તિ બનાવવા કે વહેંચવા સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામાનો અમલ તારીખ 4 ઓગસ્ટ થી 29 સપ્ટેમ્બર 2023 સુધી લાગુ રહેશે જે લોકો નિયમોનો અમલ નહીં કરે તેની સામે પોલીસ દ્વારા આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા  ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી માર્ગદર્શન આપી સારી રીતે લોકો મહોત્સવ ઉજવણી કરી શકે તે માટે આયોજન કરવા સૂચન કર્યું હતું. આયોજકો સાથે બેઠક યોજ્યા બાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ગણેશ મહોત્સવને લઈ જાહેરનામુ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવના પંડાલમાં દુંદાળા દેવની 9 ફુટથી ઉંચી મૂર્તિ રાખી શકાશે નહીં. તદઉપરાંત પીઓપી મૂર્તિ બનાવવા તેમજ વેચાણ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી જે અંગે પણ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ગણેશ મહોત્સવને લઈને અલગ અલગ 9 જેટલા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ રહેશે, ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની “9” ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ, નકી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલ મંજુરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઈ દરિયા, નદી,તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ, મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ. મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેંચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલ મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ. તેમજ કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેચવા ઉપર તેમજ સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ. અને CCTV લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.