- બારડોલીમાં રેલવે ઓવરબ્રિજ બનતાં આસપાસનાં ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં સરળતા ઊભી થશે
ગાંધીનગર, 10 માર્ચ, 2026 – સમગ્ર રાજ્યમાં રેલવે ફાટક પરથી અવરજવર સુગમ બને તે માટે આગામી વર્ષ-૨૦૨૯ સુધીમાં સમગ્ર રાજ્યને ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં રેલવે બ્રિજ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં આ જાણકારી આપી હતી.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થિતિ અંગેની આંકડાકીય વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ ૩૬૭ રેલવે ફાટક આવેલા છે. જે પૈકી ૧૩૦ ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 52 ઓવરબ્રિજ/અંડરબ્રિજનાં કામ પ્રગતિમાં છે અને અન્ય ૪૬ જેટલાં કામો મંજૂરી હેઠળ છે.
આ પણ વાંચોઃ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે: સુપ્રીમ કોર્ટ
આ સિવાય, બાકી રહેલાં ૧૩૭ ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી પૂર્ણ થતાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં સમગ્ર રાજ્યને રેલવે ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે આવેલા એલ.સી. નં.25 ઉપરના રેલવે ઓવરબ્રિજ વિશેની માહિતી આપતાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું કે આશરે ૮૬૫ મીટરની કુલ લંબાઈનો આ ઓવરબ્રિજ બનવાથી આ માર્ગ પર આવતાં વિવિધ ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં ફાયદાકારક બની રહેશે.
આ ઉપરાંત, અસ્તાન ગામ તથા નજીકના કન્યા વિદ્યાલયની ૧૫૦૦ વિદ્યાર્થિનીઓને ફૂટ ઓવરબ્રિજ થકી અવરજવરમાં સરળતા થવાની સાથે સ્થાનિક ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થશે. આ પ્રોજેક્ટ પ્રગતિશીલ ગુજરાતની દિશામાં એક મહત્ત્વનું કદમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

