Site icon Revoi.in

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું રવિવારે મહા સંમેલન, મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડશે

Social Share

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ માફી માગી અને ભાજપે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા છતાંયે હજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે મક્કમ છે. અને રાજકોટમાં 14મી એપ્રિલને રવિવારના રોજ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેશે.

રાજપૂત સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 14 એપ્રિલના રોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહેશે. જામ સાહેબને પણ મળી આમંત્રણ આપીશું. રૂપાલાને તેમના સંસ્કાર બતાવવા પડશે. રાજકોટ-મોરબી રોડ પર આવેલા રતનપર ગામ નજીક રામમંદિર સામે આવેલી જગ્યામાં મહાસંમેલન યોજાશે. રૂપાલાની ઉમેદવારી રદ થાય એવી માગ છે, સમાજમાં શુદ્ધિકરણ જરૂરી છે. દેશના વિકાસ માટે આ જરૂરી છે. બુધવારે પાટણ, મુંદ્રા અને ધાંગધ્રામાં ક્ષત્રિય સમાજના સંમેલનો યોજાયા હતા. આ પહેલાં ધંધૂકામાં પણ સંમેલન યોજાયું હતું.  રૂપાલાના ઉચ્ચારણોથી જાહેર જીવનમાં નૈતિકતાનું ધોવાણ થયું છે તેને અટકાવવાનો પ્રયાસ થાય તેવો દાખલો બેસાડવા માગીએ છીએ.

જામનગર સ્ટેટના જામ સાહેબના પત્રને લઈને રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, જામ સાહેબના નિવેદનને લઈ અમે સંકલન સમિતિમાં ચર્ચા કરીશું. અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરીશું. કોઈપણ આંદોલન સામાજિક છે. આ કોઈ રાજકીય નથી, સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે. જામ સાહેબ અમારા માટે પૂજનીય છે, તેમને અમે મળીશું. જામ સાહેબને યોગ્ય સમયે મળીશું. રૂપાલાને તેમના સંસ્કાર બતાવવા પડેશે. ગુજરાતનો રાજપૂત સમાજ નક્કી કરશે. ટિકિટ રદ થવાની માગ સમાજની છે, રાજકીય અને વ્યક્તિગત હેતુ માટે કોઈ નથી. આખા સમાજની લાગણી ઘવાઈ છે.