Site icon Revoi.in

સમગ્ર દેશમાં 15થી 29 વર્ષની વયમર્યાદામાં ગુજરાતનો સૌથી નીચો બેરોજગારી દર

Social Share

અમદાવાદઃ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ફેબ્રુઆરી-2020માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-2018’ મુજબ રોજગાર કચેરીઓ મારફતે 2017ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે.

મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-2020માં બહાર પાડવામાં આવેલા પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર 15થી 29 વર્ષની વયમર્યાદામાં થયેલા સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો એટલે કે 8.4 છે. ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢના વર્ષ 2015-16ના રિપોર્ટ અનુસાર સમગ્ર ભારતનો બેરોજગારીનો દર 50 (દર હજાર વ્યકિતએ) અંદાજવામાં આવ્યો છે જ્યારે ગુજરાતનો બેરોજગારીનો દર 9 (દર હજાર વ્યકિતએ) અંદાજાયેલ છે. જે સમગ્ર દેશના રાજયોમાં સૌથી નીચો દર છે.

તા. 6 ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જા મંત્રી સૌરભ પટેલ તેમજ સાંસદ સી.આર પાટીલના હસ્તે રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ કરવામાં આવશે. રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં પણ વિકાસ કામો સહિતના કામોની રફતાર જાળવી રાખી આ રોજગાર પ્રક્રિયા પૂર્ણ કરી છે તેના નિમણૂંક પત્રો પણ આ દિવસે અર્પણ થશે. ‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે 50 હજાર યુવાઓને નિમણૂંક પત્રો પણ એનાયત કરાશે. આ દિને ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુભારંભ થશે.