અમદાવાદઃ કોરોના મહામારીને મહાત આપવા માટે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. ત્યાર બાદ 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટિઝન અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં કોરોના રસીકરણમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 21 લાખથી વધારે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ગુજરાત સહિત 3 રાજ્યોમાં કોરોના રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. જેમાં રાજસ્થાન સૌથી મોખરે છે. બીજા નંબર પર મહારાષ્ટ્ર અને ત્રીજા નંબર પર ગુજરાત છે. શહેરી વિસ્તાર સિવાય અન્ય જિલ્લામાં ગ્રામ્ય સ્તરે રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 17 લાખ 24 હજાર 805 વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે ચાર લાખ 25 હજાર 371 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં 21 લાખથી વધુ કોરોનાની રસી અપાઈ ચૂકી છે.
રાજસ્થાનમાં 25.10 લાખ , મહારાષ્ટ્રમાં 23.20 લાખ, પશ્ચિમ બંગાળમાં 20.30 લાખ, ઉત્તર પ્રદેશમાં 19.60 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.