Site icon Revoi.in

ખેડુતોના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ભાજપને પણ રાજકીય વનવાસ ભોગવવો પડશેઃ કિસાન સંઘ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ કર્માચારી સંગઠનો તેમજ ખેડુત સંગઠનો પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારનું નાક દબાવી રહી છે. ત્યારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ચાલી રહેલા આંદોલનને હવે ગાંધીનગરથી ગામડે ગામડે પહોંચડવાની તૈયારી થઈ રહી છે. રાજ્ય સરકાર ખેડૂતોના મુદ્દે ઝડપથી નિર્ણય નહીં લેતો ભાજપ સરકાર ને પણ કોંગ્રેસની જેમ રાજકીય વનવાસ ભોગવવાનો વારો આવશે તેવી સ્પષ્ટ ચિમકી કિસાન સંઘના અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે.

ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ જગમાલ આર્યએ જણાવ્યું હતું. કે 25 ઓગસ્ટથી ગાંધીનગર ખાતેથી ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું હોવા છતાં સરકાર  ખેડૂતોના પ્રશ્નો હલ કરવાની બદલે જગતના તાતને વિપરીત પરિસ્થિતિમાં મૂકી રહી છે. એટલું જ નહીં યોગ્ય નિર્ણય કરી શકતી નથી એટલે પ્રશ્ન થાય છે કે આ સરકાર કોણ ચલાવે છે, શા માટે ખેડુતોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. આ તબક્કે તેમણે આગામી કાર્યક્રમો અંગે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય કિસાન સંઘ દ્વારા ચાલી રહેલું આ આંદોલન હવે ગામડે ગામડે પહોંચશે જેના કારણે ભાજપ સરકારને ખૂબ જ નુકસાન સાથે ભોગવવાનો વારો આવશે એટલું જ નહીં કોંગ્રેસની જેમ ભાજપ સરકારને પણ વનવાસ આવશે. તે સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  હવે વિવિધ માર્કેટયાર્ડ પણ ખેડૂતોના સમર્થનમાં ઉતરી પડ્યા છે અને હવે ટૂંક સમયમાં તમામ માર્કેટ યાર્ડ ખેડૂતોના સમર્થનમાં બંધ પાળીને અમારી આ લડાઈમાં જોડાશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ વિરોધી પ્રચાર પ્રસાર કરશો કે કેમ તે અંગે મીડિયાએ પ્રશ્ન પૂછતા ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ એ સ્પષ્ટતા કરી હતી કે આ સરકાર અમારા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ નહીં આવે તો તેને આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ખૂબ જ નુકસાન ભોગવવું પડશે જ તેવી સ્પષ્ટ વાત તેમણે કરી હતી. (file photo)