Site icon Revoi.in

રાજકોટમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ પાસે ફાયર NOC નહીં હોય તો વેરા માફીનો લાભ નહીં મળે

Social Share

રાજકોટઃ શહેરમાં અનેક હોટલો, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટલો પાસે ફાયર એનઓસી જ નથી. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરની જુદી જુદી હોસ્પિટલ, રહેણાક બિલ્ડિંગ, હોટેલ અને રેસ્ટોરન્ટ, ક્લાસીસમાં  ફાયર NOC માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જવાબદારને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે આવી નોટિસ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે અગાઉ પણ અનેક વખત આપી છે અને ભૂલી ગયા છે. જેના પગલે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે હાલ રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના  વેરા વિભાગ દ્વારા 329 હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ સહિતનું લિસ્ટ તૈયાર કરતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. શહેરની 90 ટકા હોટલ, રેસ્ટોરન્ટો અને રિસોર્ટ પાસે નથી ફાયર NOC જ નથી. તેથી આ હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટને વેરા માફી  આપવામાં નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

     

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવતા ફાયર NOC ન હોવાનું, ફાયર સેફટીના સાધનો કામ ન કરતા હોવાનું અને ફાયર NOC રીન્યુ કરાવ્યા ન હોવાનું આવ્યું છે. આ અંગે રાજ્ય સરકારની સલાહ લેવાયા બાદ મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ જે તે આસામી ફાયરના સાધનો ફિટ ન કરે કે NOC લેવા માટે કોઇ કાર્યવાહી ન કરે તો પહેલા તે મિલકતનું નળજોડાણ કાપવું, ત્યારબાદ વિદ્યુત કનેક્શન કાપવાનો નિયમ છે અને આમ છતાં પણ તે મિલકતમાં ફાયર NOC લેવા કાર્યવાહી ન કરે તો અંતે તે પ્રિમાઇસિસ સીલ કરવાનો પણ નિયમ છે, પરંતુ ફાયર વિભાગ આ મુદ્દે માત્ર વેરો માફ નહીં કરીને સંતોષ વ્યક્ત કરી રહ્યું છે. રાજકોટમાં આવેલાં મોટાં બિલ્ડિંગ, હોસ્પિટલમાં આગ લાગતાં ફાયરબ્રિગેડ પહોંચે છે, પરંતુ ઘણાં બિલ્ડિંગમાં સારી ફાયર સિસ્ટમ નથી હોતી. ઉપરાંત ચાલુ હાલતમાં નથી હોતી, જેને કારણે ફાયરબ્રિગેડને આગ પર કાબૂ લેવામાં જલદી સફળતા મળતી નથી. શહેરમાં જે રીતે 329 હોટલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ NOC વગર તેમજ રિન્યુઅલ ન કરવાઈ હોય એવી સામે આવી છે ત્યારે ફાયરબ્રિગેડ આવાં બિલ્ડિંગોને NOC લેવા તેમજ રિન્યુઅલ માટે નોટિસ ફટકારશે કે કેમ? એ અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

Exit mobile version