Site icon Revoi.in

જિલ્લા-તાલુકાઓમાં વધારે ઉદ્યોગો સ્થપાય તો રોજગારીની સાથે વિકાસ પણ થશેઃ રાજ્ય ઉદ્યોગમંત્રી

Social Share

અમદાવાદઃ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ(MSME) કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરાશે તેમ ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, રાજ્યભરના તમામ જિલ્લા-તાલુકાઓમાં વધુમાં વધુ MSME ઉદ્યોગો સ્થપાય તો સ્થાનિક સ્તરે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી વધે તેમજ જે તે વિસ્તારનો વિકાસ થાય. MSME ને અપાતા વિવિધ લાભો, સબસીડી, નોંધણીની વિગતો સહિતની માહિતી કેટેગરી અને તાલુકા મુજબ ટેકનોલોજી-સોશિયલ મીડિયાના માધ્યમથી છેવાડાના લોકો-નાના ઉદ્યોગકારો સુધી પહોંચે તે દિશામાં આગળ વધવું પડશે. આ તમામ પ્રક્રિયા માટે હાલમાં અમલી સિંગલ વિન્ડો સિસ્ટમને વધુ પ્રભાવી, પારદર્શક અને અપડેટ કરવામાં આવશે જેથી મહત્તમ ઉદ્યોગકારોને લાભ મળશે.

તેમણે કહ્યું હતું કે, MSME અંતર્ગત નોંધણી સહિતની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરીશુ તો, ફાઇલ-અરજીનું સ્ટેટસ સંબંધિત અધિકારી તેમજ અરજદાર પણ પોતાના મોબાઇલમાં જોઈ શકશે. અરજી અને પડતર પ્રશ્નોના નિકાલની પણ સમયમર્યાદા તેમજ નવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવશે જેથી પડશે.

આ પ્રસંગે MSME કમિશનર જી. રણજીથકુમારે MSME ની કામગીરી તેમજ ગુજરાત સરકારની ઔદ્યોગિક પોલિસી અંગે મંત્રી સમક્ષ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં મંત્રીએ જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં ઉદ્યોગ વિભાગના નાયબ સચિવ મનીષ શાહ, MSME ના અધિક કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.