Site icon Revoi.in

શક્તિપીઠ અંબાજીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ગાષ્ટમીના દિને માતાજીની પૂજા અર્ચાના કરી

Social Share

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં આજે દુર્ગાષ્ટમીના દિને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબા માતાજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના લોકોની સુખાકારી વધે તે માટે માતાજીના આશીર્વાદ લીધા હતા. અને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.  મુખ્યપ્રધાન સાથે રાજ્યના કેબિનેટે પ્રધાન બ્રિજેશ મેરજા પણ પૂજામાં જોડાયા હતા. અંબાજી મંદિરમાં આજે દુર્ગાષ્ટમીના દિને માતાજીના દર્શનનો મહિમા હોવાથી અનેક લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા.નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. દાંતા સ્ટેટના રાજવીએ પણ પરિવાર સાથે માં અંબાની આરતી ઉતારી હતી.

આજે પવિત્ર દુર્ગાષ્ટમી એટલે કે આસો સુદ આઠમનો પર્વ છે. આજના પવિત્ર દિવસે દરેક યાત્રાધામો પર મોટા આયોજન થયા હતા. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ આજના શુભ દિવસે દાંતા સ્ટેટના રાજવીએ પરિવાર સાથે મા અંબાની આરતી ઉતારી હતી. રાજવી પરિવારના વંશજોએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરી હતી. માતાજીની પૂજા બાદ નવચંડી યજ્ઞ માટે યજ્ઞશાળા ખાતે વિશેષ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

એક પરંપરા મુજબ 130 પેઢીથી રાજવી પરિવાર આજના દિવસે પોતે જ માતાજીની આરતી ઉતારે છે અને હવન પણ કરે છે. ત્યાર બાદ મંદિરના પૂજારીઓને મંદિરની ચાવી સોંપે છે. આ રાજવી પરિવારનો અબાધિત અધિકાર છે. આસો સુદ આઠમના પવિત્ર દિવસે આમ તો અંબાજીમાં અનેર ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા.