Site icon Revoi.in

ગાંધીનગરમાં ટાટના ઉમેદવારોએ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા પોલીસે કરી અટકાયત

Social Share

ગાંધીનગરઃ રાજ્યની શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. બીજીબાજુ ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો વિદ્યાસહાયકોની ભરતી માટે રાહ જોઈ રહ્યા છે. આથી જ્ઞાન સહાયકોની ભરતીને લીધે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે થશે તે નક્કી નથી. આથી છેલ્લા મહિનાઓથી શિક્ષણ વિભાગની જ્ઞામ સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોએ સેકટર – 19 ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ સાથે ઉમેદવારોનું ઘર્ષણ થયું હતું. પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી લીધી હતી. જેમાં ત્રણ ઉમેદવારોને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મુદ્દે સમર્થનમાં આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાનો પણ હુંકાર કર્યો હતો.

ગુજરાત સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં.ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં.પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જેમાં ત્રણ ઉમેદવારોને ઈજાઓ થતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

ગાંધીનગર સેક્ટર 19 વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જ્ઞાન સહાયકના ઉમેદવારો જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે અને શિક્ષણ સચિવ વિનોદ રાવને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને જેમાં ત્રણ ઉમેદવારોને ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુરજ સોની નામના ઉમેદવારને ફેક્ચર હોવાનું નિદાન થયું હતું. જ્યારે દિલીપસિંહ રાજપુત અને તેજસ મજેઠીયા નામના ઉમેદવારો પણ ઇજાગ્રસ્ત થતા બંનેને પણ સિવિલમાં સારવાર લેવાની જરૂર પડી હતી. પોલીસે વધુ પડતો બળ પ્રયોગ કરતા ત્રણ ઉમેદવારોને ઈજાઓ થતાં ઉમેદવારોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો આવનારા સમયમાં સરકાર દ્વારા આ યોજના રદ નહીં કરવામાં આવે તો અમે વિધાનસભાનો પણ ઘેરાવ કરવા માટે તૈયાર છીએ. પોલીસ સાથેના ઘર્ષણ દરમિયાન મહિલાઓને પણ ઇજાઓ પોહચી છે. છતાં તેમને એસ.પી કચેરી ખાતે લઈ ગયા છે. અને મુક્ત કર્યા નથી જ્યારે મહિલાઓ મુક્ત થશે તેમને પણ સોવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવીશું.