Site icon Revoi.in

રાજકોટમાં રોડ પરના ખાડાને લીધે બાઈક સ્લીપ ખાઈને ટ્રક સાથે અથડાતાં પિતા-પૂત્રના મોત

Social Share

રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત શહેરના સંત કબીર રોડ પર સર્જાયો હતો. જેમાં રોડ પરના ખાડાને લીધે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક પર સવાર પિતા-પૂત્ર રોડ પર પટકાયા હતા. તે દરમિયાન પૂર ઝડપે પાછળ આવી રહેલા ટેન્કર પિતા-પૂત્ર પર ફરી વળતા બન્નેના મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવને લીધે અકસ્માત સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો.

આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અજય પરમાર અને તેના પિતા શૈલેષભાઈ પરમારનું મોત નીપજ્યું હતુ. રસ્તાની વચ્ચે પડેલા ખાડા અને રાહદારીને બચાવવા બાઈક સ્લીપ ખાઈ જતા બન્ને પિતા-પૂત્ર રોડ પર પટકાતા ટેન્કરનાં વ્હીલ પિતા-પુત્ર પર ફરી વળ્યાં. બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતનો ભોગ બનેલા મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પર પોતાના ઘરે જ ચેઇન કટિંગ કરીને મજૂરી કામ કરતા હતા. જ્યારે મૃતક અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. કૌટુંબિક બહેનનાં લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો. બુધવારે પિતરાઈ બહેનનાં લગ્ન છે, કાલે મંડપ મુહૂર્ત હતું. ખાડાના કારણે પિતા-પુત્રને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

મૃતકના પિતરાઈ ભાઈ હિતેષ પરમારે જણાવ્યું હતું કે, બંને બાપ-દીકરો સવારે 8થી 9 વાગ્યાના ગાળામાં યાર્ડ નગર જતા હતા, જોકે બાઈક સ્લિપ થતાં પાછળ આવતા ટેન્કરના ટાયર નીચે આવી ગયા ને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દીકરો સુરત એલ.એન.ટી.માં નોકરી કરે છે. સુરતથી રાજકોટ કાકાની દીકરીનાં લગ્નમાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.