Site icon Revoi.in

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક જીવન વિષય પર ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ

Social Share

સુરતઃ શહેરના સરસાણા ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘પ્રાકૃતિક જીવન..શ્રેષ્ઠ જીવન’ થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે. તેમણે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ જવા આહ્વાન કરતાં કહ્યું કે, ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે, ત્યારે ઉદ્યોગો અને પ્રાકૃતિક જીવનનું સંતુલન સાધવા અને આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવન જીવવા સંકલ્પબદ્ધ થવા હિમાયક કરી હતી..

રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપતાં રાજ્યપાલએ કહ્યું કે, આગામી સમયમાં સારા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી, ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.

ગુજરાતના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આવેલી જાગૃતિની વિગતો આપતાં રાજ્યપાલએ કહ્યું કે, ગુજરાતના 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે. આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા, ડી.એ.પી., રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે એમ સ્પષ્ટપણે જણાવી પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિક જીવન જીવવાની સૌને હાંકલ કરી હતી.

સરસાણા કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સંવાદ સમારોહમાં રાજ્યપાલએ વધુમાં કહ્યું કે, જંગલમાં ઉછરતા ઝાડ-પાન, ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શકતી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ ના શકે ? આ પ્રકારે જંગલના પ્રાકૃતિક નિયમો આપણી કૃષિ પદ્ધતિમાં પણ લાગુ પડે છે. અને જંગલની માફક આપણા ખેતરમાં કારગર નીવડે એનું નામ પ્રાકૃતિક ખેતી છે.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે પ્રકૃતિને માનવજાતિએ નુકસાન પહોંચાડ્યુ છે ત્યારે પ્રકૃતિએ માનવજાતિને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડ્યુ છે. એટલે જ પ્રકૃતિ સાથે તાલમેલ સાધી પ્રકૃતિની જાળવણી કરવી એ આપણી ફરજ છે.

આ વેળાએ રાજ્યપાલએ અહીં આયોજિત ઉદ્યોગ પ્રદર્શન: 2024 ની મુલાકાત લઈને વિવિધ સ્ટોલ ધારકોના ઉત્પાદનો નિહાળ્યા હતા. ઉદ્યોગકારો સાથે ઉષ્માસભર સંવાદ કરી ઉદ્યોગ પ્રદર્શન અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ચેમ્બરના ઉપપ્રમુખ  મેવાવાલા, પૂર્વ ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાળા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન  દિનેશ નાવડિયા, ચેમ્બરના પદાધિકારીઓ, પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.