Site icon Revoi.in

આવકવેરા વિભાગના દરોડાઃ બે જૂથ પાસેથી 10 કરોડની જપ્ત કરાયાં, 12 લોકર સીલ

Social Share

અમદાવાદઃ શહેરમાં સિરામિક ટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા જૂથ અને ફાઈનાન્સ પેઢી ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. દરમિયાન આવકવેરા વિભાગે 10 કરોડની રોકડ જપ્ત કરીને 12 જેટલા લોકર સીલ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત રોકડના બદલે ફાઇનાન્સરો પાસેથી બેન્કમાં કરાવેલી નાણાની એન્ટ્રી મળી આવી છે.  તપાસમાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી આશંકા છે. અમદાવાદ ઉપરાંત મોરબી, હિંમતનગર અને સુરત ઓફિસ પર પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બે જૂથના સંચાલકોના રહેણાક તથા વ્યવસાયના સ્થલો સહિત લગભગ 30થી વધારે સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. 200 જેટલા આઈટીના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે દરોડાની કામગીરી હાથ ધરી હતી. હિંમતનગરમાં ફાઈનાન્સ પેઢીના ડીરેક્ટરોના બંગ્લોઝ, ઓફીસો, ફેક્ટરીઓ અને શોરુમમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતું. ખાનગી ફાયનાન્સ પેઢી અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરમાં ઓફીસો ધરાવે છે. પેઢી અને તેમના સંચાલકોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સિરામિકના વ્યવસાય સાથે જોડાયેલા જૂથના ડાયરેક્ટરોના બંગ્લોઝ અને અધિકારીઓને નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી હતી. પ્રાંતિજ નજીક આવેલા દલપુર અને કાટવાડ સિરામીક્સ ઝોનની ફેક્ટરીઓમાં પણ દરોડાની કાર્યવાહી કરાઈ હતી. દરોડાના અંતે બંને જૂથ પાસેથી કરોડની કરચોરી પકડાવવાની શકયતા છે. બીજી તરફ બે પેઢીઓ ઉપર આઈટીના દરોડાને પગલે અન્ય વેપારી-ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.