Site icon Revoi.in

રાજકોટમાં જ્વેલર્સ વ્યવસાય સાથે સંકળાયેલા એકમ ઉપર આવકવેરા વિભાગના દરોડા

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં સોની બજારમાં આવકવેરા વિભાગના દરોડાને પગલે સોની વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં આવકવેરા વિભાગે બે જ્વેલર્સ જૂથ ઉપર દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમોએ બંને જૂથના સંચાલકોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર તપાસનો ધમધમાટ તેજ બનાવવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં સોની બજાર સ્થિત બે જૂથ ઉપર સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ ત્રાટક્યાં હતા. લાંબા સમય બાદ આવકવેરા વિભાગની કાર્યવાહીથી સોની વેપારીઓમાં પણ તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. આઈટીની લગભગ 20 જેટલી ટીમોએ પેલેસ રોડ-સોની બજાર, અમીન માર્ગ, અક્ષર માર્ગ ઉપર આવેલા જ્વેલર્સ જૂથના શોરૂમ, તથા જૂથના સંચાલકોના ત્યાં તપાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈન્કમટેક્સ વિભાગના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. હજુ આઈટીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આવકવેરા વિભાગના અધિકારીઓ ગઈકાલ રાતથી જ રાજકોટમાં આવી રહ્યાં હતા. દરમિયાન આજે સવારે આઈટીની 15થી વધારે ટીમોએ સોના-ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલી બંને પેઢીઓ ઉપર સર્ચ-સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ તથા સૌરાષ્ટ્રના બિલ્ડરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા. હવે જ્વેલર્સ જૂથ ઉપર સર્ચ-સર્વેની કામગીરી કરવામાં આવી છે.