Site icon Revoi.in

ગાંધીનગરમાં ઠંડીના પ્રારંભ સાથે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

Social Share

ગાંધીનગરઃ શહેરમાં શિયાળાના પ્રારંભને પખવાડિયું વિત્યા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. સાથે જ વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરલ બિમારીના દર્દીઓની દવાખાનામાં લાઈનો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 250થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત ખાનગી દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર શહેરમાં  શિયાળાની ઠંડીમાં વધારો થતાં વાયરલ બિમારીમાં ઉછાળો આવ્યો છે. એમાંય કમોસમી વરસાદ પડયા પછી સિવિલ સહિતના દવાખાનામાં શરદી, તાવ અને ખાંસી સહિત મચ્છરજન્ય રોગચાળાની ઓપીડીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. દરરોજ 200 થી વધુ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા હોવાથી સિવિલ તેમજ ખાનગી દવાખાનામાં લાંબી કતારો જોવા મળી મળી રહી છે.વાયરલ બિમારીના રોગોથી સિવિલ હોસ્પિટલ સહિતના દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ઋતુ પરિવર્તનને લઈ નગરજનો તાવ, શરદી, ખાંસીના વાયરલ ફીવરની બીમારીમાં સપડાયા છે. જેને લઈ હોસ્પિટલમાં રોજિંદા 200 થી 250 ઓપીડીમાં આવી રહ્યા છે. જેમાં તાવ, શરદી અને વાયરલ ફીવરનાં દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે.

ગાંધીનગર સિવિલનાં મેડિસિન વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉપરાંત ખાનગી દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સિવિલના જનરલ મેડિસિન વિભાગમાં મોટાભાગે તાવ શરદી અને ખાંસીનાં દર્દીઓ આવી રહ્યા છે. ગત સપ્તાહે સિવિલમાં ડેન્ગ્યુનાં 138 ટેસ્ટ કરાયા હતા. જેમાં 38 કેસ પોઝિટિવ હતા. જ્યારે મલેરિયાનાં 534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેની સામે 54 જેટલા કેસ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી.

શહેરમાં તાજેતરમાં પડેલ કમોસમી વરસાદના કારણે મચ્છરજન્ય રોગચાળો વધુ વકરી રહ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, હાલમાં સીઝનેબલ રોગોનાં કેસોમાં ઉછાળો આવ્યો છે. તાવ, શરદી ખાંસી તેમજ ડેન્ગ્યુનાં પણ કેસ મળી રહ્યા છે. દરરોજ 200 થી વધુ દર્દીઓ વાયરલ બીમારીની સારવાર કરાવી રહ્યા છે. આ ઉપરાંત ન્યુમોનિયાનાં પણ છૂટાછવાયા દર્દીઓ મળી રહ્યા છે. દિવાળી દરમિયાન સામાન્ય રીતે ફટાકડાનાં પ્રદૂષણને કારણે પણ ખાંસીની તકલીફનાં દર્દીઓ વધી જતાં હોય છે. એમાંય કમોસમી વરસાદ પડ્યા પછી વાયરલ ફીવરનાં દર્દીઓ પણ વધી રહ્યા છે.