Site icon Revoi.in

અમદાવાદમાં શરદી,ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો, દવાખાના પર લાગતી લાઈનો

Social Share

અમદાવાદ : શહેરમાં હજુ થોડા દિવસ પહેલા બપોરે ગરમી અને રાત્રે ઠંડી અમ બે ઋતુનો અનુભવ થતો હતો. ત્યારબાદ વાદળછાંયુ વાતાવરણ અને કમોસમી વરસાદના છાંટણા પડતા અને ઠંડો પવન ફુકાતા લોકો હવે કડકડતી ઠંડીનો અહેસાસ કરવા લાગ્યા છે. આ ડબલ ઋતુના કારણે દવાખાનાઓમાં દર્દીઓની કતારો લાગી છે. શહેરમાં શરદી, ખાંસી અને તાવની  બીમારીઓમાં 25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં કોરોનાના કેસમાં પણ સામાન્ય વધારો થઈ રહ્યો છે.

વિશ્વના અલગ અલગ દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે શિયાળામાં આષાઢી માહોલ જોવા મળ્યો હતો. આ કારણથી શહેરમાં વાયરલ બીમારીઓમાં 25 ટકાનો કેસમાં ઉછાળો આવ્યો છે.

તબીબોના જણાવ્યા મુજબ શહેરમાં  હાલ ડબલ ઋતુમાં વાયરલ બીમારીઓ વધી રહી છે. શિયાળામાં જે બીમારીના નોર્મલ કેસ રહેતા હોય છે તેમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે લોકોને અપીલ છે કે જાતે ડોકટર ના બને. બીમારી દરમિયાન ખાસ કરીને ફિવરમાં પેરાસિટામલ સિવાય કોઈ દવા જાતે લેવી ન જોઈએ. આ દવા લીધા પછી પણ ડોક્ટરને એક વાર બતાવી દેવું જોઈએ અને જે ટ્રીટમેન્ટ ડોકટર સૂચવે તે કરવી જોઈએ. જો એમાં કોઈ ગફલત રહી ગઈ તો વાયરસનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત બદલાયેલા વાતાવરણમાં બહાર ફરવાની જગ્યાએ ઘરમાં રહેવું વધુ હિતાવહ છે. સાથે બહારના જંક ફૂડ આરોગવાનું એવોઇડ કરી જે ખોરાકમાંથી વિટામિન્સ મળે છે તે પ્રકારનો હેલ્થી ખોરાક ખાવામાં લેવો જોઈએ. મહત્વનું છે કે હાલમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસ પણ વધી રહ્યા છે તેવામાં બદલાયેલા વાતાવરણ શરદી ખાંસી અને તાવના કેસો વધતા આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. જેથી લોકોને સાવધાની રાખવાની સલાહ છે. (file photo)