Site icon Revoi.in

ગુજરાતમાં ટીબીના કેસમાં વધારો, સપ્તાહમાં 2500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાજો થયો છે. હવે માત્ર 150 જેટલા જ ઓક્ટિવ કેસ રહ્યા છે. પણ બીજીબાજુ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ટીબીના દરરોજ 450થી 500 કેસ નોંધાય છે. કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના 1500 કેસ આવતા હતા, જે હવે વધીને 2500 કેસ આવે છે. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે 5838 લોકોનું ટીબીને કારણે મોત થયાં હતાં. ગત વર્ષે 80650 ટીબીના દર્દીઓની ડ્રગ રેજિસ્ટન્ટ તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 2820 દર્દીને ડ્રગ રેજિસ્ટન્ટ એટલે કે ગંભીર પ્રકારના ટીબીના કેસો સામે આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ટીબી નિવારણ વિભાગ દ્વારા ટીબીની તપાસ માટે ગુજરાતમાં અત્યાધુનિક સાધનો ધરાવતી લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. ટીબીના નિદાન માટે ગુજરાતમાં 2071 ડેઝિગ્નેટેડ માઈક્રોસ્કોપિક સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી, 71 સીબીનાટ લેબોરેટરી અને 77 ટ્રુનાટ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. શહેરી અને ગ્રામ્ય કક્ષાએ 38380 ડોટ સેન્ટરો બનાવવામાં આવ્યાં છે, જ્યારે ગંભીર પ્રકારના ડ્રગ રેજિસ્ટન્ટ ટીબીની સારવાર માટે 5 નોડલ ડીઆર ટીબી સેન્ટર કાર્યરત છે. રાજ્ય ક્ષય તાલીમ અને નિદર્શન કેન્દ્રના સૂત્રોએ  જણાવ્યું હતું કે ટીબીને કારણે 10થી 15 ટકા દર્દીઓના માનસિક આરોગ્ય પર અસર થાય છે. વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારતમાં છે. ભારતમાં દર વર્ષે 26 લાખ ટીબીના નવા દર્દીઓ ઉમેરાય છે. ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખ ટીબીના નવા દર્દીઓ નોંધાય છે. ત્યારે 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એ દિશામાં રાજ્યનો ટીબી વિભાગ કાર્યરત થયો છે અને એના નિવારણ માટે અનેક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ટીબીના 30થી 35 ટકા દર્દીઓ પ્રાઇવેટ સેક્ટરમાં ટ્રીટમેન્ટ લેશે. ત્યારે પ્રાઇવેટ સેક્ટરને પણ સરકારના ટીબીમુક્ત અભિયાનમાં જોડવામાં આવ્યું છે. ગુજરાતમાં 1400થી વધારે પ્રાઇવેટ ડોકટરો ટીબીની સારવાર કરે છે. જેમની નોંધણી સરકારના નિક્ષય સૉફ્ટવેરમાં કરવામાં આવી છે. પ્રાઇવેટ ડોક્ટરો દ્વારા સારવાર કરી રહેલા ટીબીના દર્દીઓની નોંધણી કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલ અને ક્લિનિકમાં સારવાર કરતા 43372 દર્દીની નોંધણી 2020માં કરવામાં આવી છે.     ગુજરાતમાં 2017માં 1.38 લાખ, 2018માં 1.54 લાખ, 2019માં 1.59 લાખ અને 2020માં 1.20 લાખ ટીબીના દર્દીઓ નોંધાયા છે. ગંભીર પ્રકારના ટીબી માટે બેડાક્વિલિન અને ડેલામિનાડ નામની દવાની સારવાર માટે આખા રાજ્યને આવરી લેવામાં આવ્યું છે. ગુજરાતમાં બેડાક્વિલિન નામની નવી દવાની ઇન્જેક્શન વગરની સારવાર શરૂ કરવામાં આવી છે. આ સારવાર ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓ માટે કારગત સાબિત થઈ છે. આ ટૂંકા ગાળાની ઇન્જેક્શન વગરની સારવાર છે.