Site icon Revoi.in

કોરોનાને માત આપતું ભારત, દેશમાં 2 કરોડથી વધારે લોકો કોરોનાથી સ્વસ્થ

Social Share

દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરે તમામ લોકોને ચીંતામાં તો મુકી દીધા છે પણ સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તૈયારીએ પણ કોરોના સામે મક્કમતાથી લડાઈ આપી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસ જેટલી ઝડપથી આવી રહ્યા છે એટલી જ માત્રામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના કેસમાં નજીવો વધારો થયો છે. ગુરુવારે દેશમાં કોરોનાના 3 લાખ 43 હજાર 144 નવા દર્દી નોંધાયા હતા. આ દરમિયાન 3 લાખ 44 હજાર 776 દર્દી સાજા થયા હતા. ગુરુવારે દેશમાં ચાર હજાર દર્દીનાં કોરોનાથી મોત થયા છે. દેશમાં અત્યારસુધી 2 કરોડ 40 લાખ 46 હજાર 809 લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. જ્યારે કુલ 2 કરોડ 79 હજાર 599 દર્દી સાજા થયા છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 2 લાખ 62 હજાર 317 લોકોએ જીવ ગુમાવ્યો છે.

હાલ કુલ 37 લાખ 4 હજાર 893 લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યારસુધી કુલ 17.92 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

દેશમાં 17 જેટલા રાજ્યોમાં કોરોનાવાયરસના કેસના સંક્રમણમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો છે અને જે ક્યાંકને ક્યાંક તમામ લોકો માટે, રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકાર માટે રાહતના સમાચાર છે.

દેશમાં 14 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાથી આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. અહીં અમુક પ્રતિબંધો છે, સાથે સાથે કેટલીક છૂટ પણ છે. જેમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત શામેલ છે.

Exit mobile version