Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન વચ્ચે કેદીઓની યાદીની આપ-લે: સિંધુ જળ વિવાદના તણાવ વચ્ચે રાજદ્વારી પ્રક્રિયા પૂર્ણ

Social Share

નવી દિલ્હી, 2 જુલાઈ 2026: ભારત અને પાકિસ્તાને રાજદ્વારી માધ્યમો દ્વારા પોતપોતાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપ-લે કરી છે. બંને દેશો વચ્ચે વર્ષ ૨૦૦૮માં થયેલા ‘કાન્સુલર એક્સેસ કરાર’ અંતર્ગત દર વર્ષે 1જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. હાલમાં બંને દેશો વચ્ચે અન્ય મોરચે તણાવ ચાલી રહ્યો હોવા છતાં આ રાજદ્વારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

અધિકૃત વિગતો અનુસાર, ભારતે પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા 386 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 53 માછીમારોની યાદી સોંપી છે. તેની સામે પાકિસ્તાને ભારત સાથે તેની જેલમાં બંધ ૫૨ ભારતીય નાગરિક કેદીઓ અને 198 ભારતીય માછીમારોની યાદી શેર કરી છે. આ યાદીની આપ-લે દરમિયાન ભારતે પાકિસ્તાન સમક્ષ 188 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓની વહેલી તકે મુક્તિ અને સ્વદેશ વાપસીની માંગ દોહરાવી છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ લોકો પોતાની સજા પૂરી કરી ચૂક્યા છે, તેમ છતાં તેમને હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી. ભારતે પાકિસ્તાનને જેલમાં બંધ એવા 13 નાગરિકોને તાત્કાલિક ‘કાન્સુલર એક્સેસ’ આપવા કહ્યું છે જેમને ભારતીય માનવામાં આવે છે પરંતુ હજુ સુધી આ સુવિધા આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી ભારતીય કેદીઓ અને માછીમારો મુક્ત ન થાય, ત્યાં સુધી જેલમાં તેમની સુરક્ષા, યોગ્ય સંભાળ અને કલ્યાણની જવાબદારી પાકિસ્તાન સરકારની રહેશે. આ સાથે જ લાપતા ભારતીય સંરક્ષણ કર્મચારીઓનો મુદ્દો ઉઠાવીને તેમની પણ વહેલી વાપસી માટે દબાણ કરવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોને કારણે વર્ષ 2014થી અત્યાર સુધીમાં 2661 ભારતીય માછીમારો અને 78 ભારતીય નાગરિક કેદીઓ પાકિસ્તાનથી સુરક્ષિત સ્વદેશ પરત ફર્યા છે. આમાં વર્ષ 2023થી અત્યાર સુધીમાં મુક્ત કરાયેલા 500 ભારતીય માછીમારો અને 20 નાગરિક કેદીઓનો પણ સમાવેશ થાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેદીઓની યાદીની આ આપ-લે એવા સમયે થઈ છે જ્યારે સિંધુ જળ સંધિને લઈને બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી હતી અને ત્યારથી નવી દિલ્હી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને મર્યાદિત કરવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી અનેક ઉશ્કેરણીજનક નિવેદનો પણ આવ્યા છે, પરંતુ ભારત આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે પોતાની કડક નીતિ પર અડગ રહ્યું છે.

Exit mobile version