Site icon Revoi.in

આતંકવાદ સામેના કઠોર વલણ પર ભારત મક્કમ છે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

Social Share

નવી દિલ્હી, 18 જુલાઈ 2026: રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે આતંકવાદ સામે ભારતની કઠોર નીતિ માત્ર એક નિવેદન નથી, પરંતુ દેશ આ વલણ પર મક્કમ છે. આજે નવી દિલ્હીમાં ‘ફોર્સીસ ફર્સ્ટ કોન્ક્લેવ’ને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ભારત માત્ર પોતાની સરહદો પર જ આતંકવાદીઓ પર પ્રહાર નહીં કરે, પરંતુ જરૂર પડ્યે તેમના અડ્ડાઓમાં ઘૂસીને તેમનો ખાતમો પણ કરશે.

તેમણે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન વિશ્વએ ભારતની આ નીતિ જોઈ હતી અને તે ટેક્નોલોજી-આધારિત યુદ્ધપદ્ધતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રાજનાથ સિંહે ઉલ્લેખ કર્યો હતો કે આ અભિયાનમાં ‘આકાશ-તીર’, ‘આકાશ’ મિસાઇલ સિસ્ટમ અને ‘બ્રહ્મોસ’ સહિતની અનેક અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે ભારતની સંરક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે દેશની સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો પણ સંકલ્પ કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે ફાળવવામાં આવેલા બજેટમાંથી 75 ટકા રકમ ભારતીય ઉદ્યોગો પાસેથી ખરીદી કરવા માટે નિર્ધારિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર આ વર્ષે સંરક્ષણ ખરીદીની નવી પ્રક્રિયા અમલમાં મૂકશે, જે દેશમાં સંરક્ષણ ઉત્પાદનને નવી ગતિ અને મજબૂતી પ્રદાન કરશે.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન અંદાજે 1.78 લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યું છે, જ્યારે 2014માં તે આશરે 40,000 કરોડ હતું. તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ વર્ષે સંરક્ષણ ઉત્પાદનમાં 2 લાખ કરોડનો આંકડો પાર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

વધુ વાંચો: યુગાન્ડામાં સ્કૂલ બસ અકસ્માતમાં 20 બાળકો સહિત 21નાં મોત

Exit mobile version