Site icon Revoi.in

ભારતીય રેલવે: જુલાઈ મહિનામાં માલ-સામાનના વહનમાં 9 ટકાની વૃદ્ધિ

railway tracks

railway tracks

Social Share

નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: ભારતીય રેલવેએ જુલાઈ 2026 દરમિયાન તેની મજબૂત કામગીરી ચાલુ રાખી હતી, જેમાં માલ-સામાન અને મુસાફરો બંને ક્ષેત્રે સ્વસ્થ વૃદ્ધિ નોંધાઈ હતી. માલ-સામાનનું વધુ વહન, મુસાફરોના ટ્રાફિકમાં વધારો, આવકના નિર્માણમાં સુધારો અને મુખ્ય ચીજવસ્તુઓની સુધારેલી હેરફેર આર્થિક વૃદ્ધિને ટેકો આપવા, લોજિસ્ટિક્સને મજબૂત કરવા અને સમગ્ર દેશમાં વિશ્વસનીય ગતિશીલતા પૂરી પાડવામાં ભારતીય રેલવેની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે.

ભારતીય રેલવેએ જુલાઈ 2026 દરમિયાન 141.3 મિલિયન ટન માલ-સામાનનું વહન કર્યું હતું, જે અગાઉના વર્ષના સંબંધિત મહિના દરમિયાન 129.7 મિલિયન ટન હતું, જે 9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ મજબૂત કામગીરી અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાં સતત માંગ અને માલ-સામાનના લોજિસ્ટિક્સ અને કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરવાના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

જુલાઈ 2026 દરમિયાન કેટલાય મુખ્ય ચીજવસ્તુ જૂથોએ વાર્ષિક ધોરણે સ્વસ્થ વૃદ્ધિ નોંધાવી હતી. લોખંડની કાચી ધાતુના (આયર્ન ઓર) વહનમાં 22.2 ટકા, કોલસામાં 11.5 ટકા, અનાજમાં 11.5 ટકા, ખાતરોમાં 12 ટકા અને બાકીની અન્ય વસ્તુઓમાં 12.1 ટકાનો વધારો થયો છે, જે પાયાની સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રોમાંથી મજબૂત માંગ દર્શાવે છે. થર્મલ પાવર પ્લાન્ટ્સ ખાતે કોલસાની માંગમાં વધારા સાથે, ભારતીય રેલવેએ ગયા વર્ષના સંબંધિત મહિનાની સરખામણીમાં જુલાઈમાં વીજ મથકોને દેશી કોલસાના પુરવઠામાં 20% નો વધારો કર્યો છે.

માલ-સામાનની હેરફેરમાં વધારાના પરિણામે જુલાઈ 2025 ની સરખામણીમાં ₹1,137 કરોડની વધારાની માલ-સામાન આવક થઈ છે, જે 8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઝોનલ રેલવેમાં, પૂર્વ મધ્ય રેલવે (33%), પૂર્વીય રેલવે (33%), પશ્ચિમ મધ્ય રેલવે (23%) અને દક્ષિણ પૂર્વ રેલવે (10.33%) એ માલ-સામાનની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.

ભારતીય રેલવેએ જુલાઈ 2026 દરમિયાન 63.35 કરોડ મુસાફરોનું પરિવહન કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 62.19 કરોડ હતું. સબઅર્બન અને નોન-સબઅર્બન બંને વિભાગોમાં મુસાફરોનો ટ્રાફિક વધતો રહ્યો, જે દેશભરમાં રેલ મુસાફરી માટે વધતી જતી પસંદગીને પ્રતિબિંબિત કરે છે.

ભારતીય રેલવે માલ-સામાનના લોજિસ્ટિક્સને મજબૂત કરવા, મુસાફરોની સેવાઓમાં સુધારો કરવા અને આધુનિક રેલ પાયાની સુવિધાઓનો વિસ્તાર કરવા માટે કટિબદ્ધ છે. કામગીરીની કાર્યક્ષમતામાં સતત સુધારા, ક્ષમતામાં વધારો અને ગ્રાહક-કેન્દ્રી પહેલો દ્વારા, ભારતીય રેલવે ભારતની આર્થિક વૃદ્ધિ, ઊર્જા સુરક્ષા અને લાખો મુસાફરો માટે દરરોજ સીમલેસ ગતિશીલતાને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.

Exit mobile version