મુંબઈ, 5 એપ્રિલ 2026: વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે નવા નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ 6.8 ટકા રહેનારા વિકાસ દરને ઘટાડીને હવે 6 ટકા કરી દેવામાં આવ્યો છે. મૂડીઝના મતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવને કારણે ભારતની આર્થિક ગતિ પર માઠી અસર પડશે અને આગામી સમયમાં મોંઘવારીનો આંકડો પણ વધી શકે છે.
મૂડીઝના રિપોર્ટ અનુસાર, ભારત તેના કુલ વપરાશના 55 ટકા કાચું તેલ અને 90 ટકાથી વધુ એલપીજી પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે. યુદ્ધને કારણે આ પુરવઠામાં અવરોધ આવતા ઈંધણના ભાવ વધી શકે છે. જેનાથી પરિવહન ખર્ચ વધશે અને ખાતરની આયાત મોંઘી થવાને કારણે ખાદ્ય મોંઘવારી પર પણ સીધું દબાણ આવશે.
એજન્સીએ નવા નાણાકીય વર્ષમાં સરેરાશ મોંઘવારી દર 4.8 ટકા રહેવાની આગાહી કરી છે, જે 2025-26માં 2.4 ટકા હતો. વધતી મોંઘવારી અને સ્થિર આર્થિક વૃદ્ધિ વચ્ચે વ્યાજ દરોમાં વધારો થવાની શક્યતા છે, જે અંતે ખાનગી વપરાશ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ધીમી પાડી શકે છે.
માત્ર મૂડીઝ જ નહીં, પરંતુ અન્ય વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓએ પણ સાવચેતીભર્યા અંદાજો રજૂ કર્યા છે. જે અનુસાર 6.1 ટકા રહેવાનો છે. જો સંઘર્ષ ચાલુ રહેશે તો વિકાસ દરમાં 1 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27માં 6.5 ટકા વિકાસ દર રહેવાની શક્યતા છે.
તેલ, ગેસ અને ખાતરની આંતરરાષ્ટ્રીય કિંમતો વધવાને કારણે સરકારી સબસિડીનું બજેટ ખોરવાઈ શકે છે. જો સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં કાપ મૂકે, તો ટેક્સ કલેક્શન પર તેની નકારાત્મક અસર પડશે. આ ઉપરાંત, ખાડી દેશોમાંથી આવતા રેમિટન્સ (વિદેશી નાણાં), જે ભારતના કુલ પ્રવાહના ૪૦ ટકા છે, તેના પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.
રિપોર્ટ મુજબ, મોંઘી આયાત અને વેપારમાં અવરોધોને કારણે ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ 2026-27માં વધીને 1 થી 1.5 ટકાની વચ્ચે રહી શકે છે, જે 2025માં ઘટીને 0.4 ટકા પર આવી ગઈ હતી. એકંદરે, વૈશ્વિક અનિશ્ચિતતા ભારત માટે આર્થિક પડકારો લઈને આવી રહી છે.

