મુંબઈ, 13 મે 2026: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણીતી ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ બુધવારે જણાવ્યું હતું કે, ભારતનો રિયલ જીડીપી ગ્રોથ નાણાકીય વર્ષ 2027માં 6.7 ટકા અને નાણાકીય વર્ષ 2028માં વધીને 7 ટકા રહેવાનો અંદાજ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક વ્યાજ દરો સ્થિર રાખીને વિકાસને વેગ આપવાનું ચાલુ રાખશે.
અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ અસર ચાલુ વર્ષના જૂન ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. કોમોડિટીના ઊંચા ભાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે આ ગાળામાં વિકાસ દર 6.5 ટકા સુધી મર્યાદિત રહી શકે છે. જોકે, જેમ જેમ સપ્લાયની સ્થિતિ સુધરશે, તેમ અર્થતંત્ર ફરી પાટા પર આવશે.
મોર્ગન સ્ટેનલીના ભારતના મુખ્ય અર્થશાસ્ત્રી ઉપાસના ચાચરાએ જણાવ્યું હતું કે, “બાહ્ય અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતનો વિકાસ મુખ્યત્વે ઘરેલું માંગ પર નિર્ભર રહેશે. એપ્રિલ મહિનાના આર્થિક સંકેતો મજબૂત ઘરેલું માંગ દર્શાવે છે, જે નબળી વૈશ્વિક પરિસ્થિતિઓ સામે રક્ષણ પૂરું પાડશે.” જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે જો તેલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો તેની અસર વિકાસ દર પર પડી શકે છે.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ઓઈલની ઊંચી કિંમતોને કારણે ચાલુ ખાતાની ખાધ જીડીપીના 1.8 ટકા સુધી વધી શકે છે. મૂડી પ્રવાહમાં ઘટાડાને કારણે સતત ત્રીજા વર્ષે બેલેન્સ ઓફ પેમેન્ટ ખાધમાં રહી શકે છે, જેનાથી રૂપિયો વધુ સંવેદનશીલ બનશે. મોંઘવારી અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવા માટે આરબીઆઈ નાણાકીય વર્ષ 2027માં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. વિદેશી હૂંડિયામણના પ્રવાહને જાળવી રાખવા માટે આરબીઆઈ વ્યાજ દર સિવાયના અન્ય ઉપાયો, જેવા કે એનઆરઆઈ ડિપોઝિટને પ્રોત્સાહન આપવું અને વિદેશી ચલણના પ્રવાહ માટેના નિયમો કડક કરવા પર ભાર મૂકી શકે છે.

