Site icon Revoi.in

બ્રિટનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ ચીજવસ્તુઓની થશે હરાજી, કિંમત જાણીને ચોંકી જશો

Social Share

લંડન: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)નો ઉપયોગ કરતા હતા તેની બ્રિટનના બ્રિસ્ટોલમાં 10મી જાન્યુઆરીએ હરાજી થશે. હરાજી માટે લઘુત્તમ કિંમત 55 હજાર પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. આ કિંમતે પણ કોઇ ભારતીય ખરીદે તો મૂળ કિંમત, કમિશન, ડ્યૂટી, જીએસટી વગેરે ઉમેરીને કિંમત 1.2 કરોડ સુધી પહોંચે. જો કે આ લઘુત્તમ ભાવ છે.

હરાજી નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો હતો કે 55 હજારને બદલે બોલી 80 હજાર પાઉન્ડે પહોંચે તો તેની વેચાણ કિંમત ભારતીય રૂપિયામાં છેવટે 2 કરોડ જેવી થાય. તેનાથી પણ કિંમત વધારે થાય તો અંતે સામાન્ય લેખાતા વાટકા-ચમચીનો ભાવ આસમાની આવી શકે. ગાંધીજી વાપરતા હતા એવી અનેક ચીજો ભારત સાચવી શક્યું નથી અને પરદેશમાં પહોંચી ગઇ છે અને ત્યાં તેની ઊંચી કિંમતે હરાજી થાય છે. જીવનપર્યત સાદગીને અપનાવનારા ગાંધીજીની ચીજોના અતિ મોંઘા મૂલ પેદા થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ચમચી-વાટકાનો દુર્લભ સેટ ગાંધીજીના અનુયાયી સુમતિ મોરારજીના સંગ્રહમાં હતો. સુમતિદેવી ભારતીય વહાણવટા ઉદ્યોગમાં અગ્રણી મહિલા હતા અને વર્ષ 1998માં તેમનું નિધન થયું હતું. ગાંધીજી સાથે તેઓ સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. હરાજી કરનારી કંપની ઇસ્ટ બ્રિસ્ટોલ ઓક્શનરના કેટલાક લોકો પ્રમાણે આ ચીજો ગાંધીજી પુનાના આગાખાન પેલેસમાં નજરકેદ હતા એ દરમિયાન અને મુંબઇ રહ્યા હતા તે સમયે વાપરતા હતા.

(સંકેત)