Site icon Revoi.in

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ રાજદૂત, કારણ જાણી તમે પણ કરશો વખાણ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં નાગરિકોએ ભાગદોડ મચાવી છે ત્યારે બીજી તરફ બ્રિટિશ રાજદૂતે કાબુલમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. માથે મોત તાંડવ કરી રહ્યું હોવા છતાં બ્રિટિશ રાજદૂતે મક્કમતાપૂર્વક કહ્યું છે કે, જ્યાં સુધી 4000 બ્રિટિશ અને અફઘાન કર્મીઓને સુરક્ષિત બહાર કાઢવામાં ના આવે ત્યાં સુધી અફઘાનિસ્તાન છોડીને જશે નહીં. તેમના આ સાહસ અને હિંમતની ચોતરફ પ્રશંસા થઇ રહી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર સર લોરી બ્રિસ્ટો અને સમર્પિત રાજનાયિકોની એક ટીમે પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કાબુલ એરપોર્ટ પર એક ઇમરજન્સી અભિયાન શરૂ કર્યું છે. એમ્બેસેડરે બ્રિટિશ સરકારને કહ્યું છે કે, જ્યાં સુધી બ્રિટિશ અને તેમના અફઘાનકર્મીઓ અહીંથી બહાર ના નીકળી જાય ત્યાં સુધી તેઓ અફઘાનિસ્તાન છોડશે નહીં.

બ્રિટનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે કાબુલમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બહાર કાઢવા માટે 200 વધુ સૈનિકોને અફઘાનિસ્તાન મોકલાઈ રહ્યા છે. આ અગાઉ શનિવારે 16 એર અસોલ્ટ બ્રિગેડના લગભગ 600 પેટાટ્રુપર્સ અફઘાનિસ્તાન પહોંચ્યા હતા અને લગભગ 200 લોકોને તેમણે અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની મદદ કરી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશનનું નેતૃત્વ રાજદૂત સર લોરી બ્રિસ્ટો કરી રહ્યા છે. કહેવાય છે કે આ અભિયાન આ મહિનાના અંત સુધી ચાલી શકે છે.

લોરી બ્રિસ્ટોનું કહેવું છે કે હાલ તેમનું સંપૂર્ણ ફોકસ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું છે અને જ્યાં સુધી આ કામ પતી ન જાય ત્યાં સુધી તેઓ અફઘાનિસ્તાન છોડશે નહીં. પોતાના જીવની પરવા ન કરતા યુદ્ધગ્રસ્ત દેશમાં રોકાવવા બદલ રાજદૂતના વખાણ થઈ રહ્યા છે. લોકો તેમને હીરો ગણાવી રહ્યા છે.