Site icon Revoi.in

મોંઘવારીને કારણે એશિયાના 35 કરોડ લોકો પર ભૂખમરાનો તોળાતો ખતરો: UN

Social Share

ન્યૂયોર્ક: કોરોના વાયરસને કારણે લોકોના ધંધા રોજગાર છીનવાઇ ગયા હતા અને ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થયો હતો. તેના કારણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 35 કરોડ કરતાં પણ વધુ લોકોને ભુખ્યા રહેવું પડશે. યુએનએ આ ચેતવણી આપી છે. ચાર એજન્સીઓ દ્વારા પ્રગટ થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 1.9 અબજ લોકો આરોગ્યપ્રદ ખાદ્ય ખરીદી શકતા નથી.

એજન્સીઓના છેલ્લા અંદાજ અનુસાર, સમગ્ર વિશ્વમાં 68.8 કરોડ લોકો કુપોષિત હતા જેમાં અડધા કરતાં વધારે એશિયામાં હતા. દક્ષિણ એશિયન દેશોમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ અફઘાનિસ્તાનની હતી જ્યાં 10 પૈકી ચાર કુપોષિત હતા. આ અંદાજ મોટા ભાગે 2019ની વસ્તીના આધારે કરાયો હતો, પરંતુ એવો પણ અંદાજ મૂકાયો હતો કે લોકડાઉન કે વાયરસના કારણે વધારાના 14 કરોડ લોકો વર્ષ 2020માં અત્યંત ગરીબાઇમાં ધકેલાઇ જશે.

સૌથી મહત્ત્વનો પરિબળ હતો ખાદ્ય ખરીદવાની ક્ષમતા. આ સમસ્યા જાપાન જેવા સમૃધ્ધ દેશથી લઇ ઇસ્ટ તિમુર અને પપુઆ ન્યુ ગીની જેવા અત્યંત પછાત અને ગરીબ દેશોમાં સરખી હતી.લોકડાઉન અને કોરોના ના કારણે ગુમાવેલી નોકરી પરિવારોને અન્ય જગ્યાએ જમવા જવાથી રોકે છે, એમ યુએન ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ અને વર્લ્ડ ફુડ પ્રોગ્રામ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.

કોરોના અને લોકડાઉનને કારણે ભારતમાં પણ સપ્લાય ચેનમાં વિક્ષેપ આવ્યો હતો. વાહન વ્યવહાર ઠપ થઇ જતાં અનાજનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાયો ન હતો. દિવસે મજૂરી કરનાર અને પ્રવાસી મજૂરો પર સૌથી વધુ અસર પડી હતી. સમગ્ર એશિયામાં ફળ અને શાકભાજીના ભાવમાં ખૂબ વધારો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓછી આવક ધરાવતા પરિવારો માટે શાકભાજી ખરીદવું મુશ્કેલ બન્યું હતું. નવેમ્બરમાં 6 વર્ષમાં પ્રથમ વખત ખાદ્ય પદાર્થોના ભાવ આકાશને આંબતા હતા. જો કે હવે વર્ષ 2021માં જ્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થયું છે ત્યારે આશા છે કે આગામી સમયમાં કોરોના સંપૂર્ણપણે નાબૂદ થઇ જશે અને અર્થતંત્ર ફરીથી પાટા પર આવી જશે.

(સંકેત)