Site icon Revoi.in

તખ્તાપલટ બાદ મ્યાનમાર પર પ્રતિબંધ મૂકવાની US રાષ્ટ્રપતિ જો બાઇડેનની ચેતવણી

Social Share

વોશિંગ્ટન: મ્યાનમારમાં હાલમાં તખ્તાપલટની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં ત્યાં સેના દ્વારા શાસન ધુરા પર કબજો કરી લેવાયો છે. તે ઉપરાંત સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને પણ ઘરમાં નજરકેદ કરાયા છે. રાષ્ટ્રપ્રમુખ વિન મ્યાંત અને શાસક પાંખના અન્ય નેતાઓની પણ અટકાયત કરી દેવાઇ છે. ત્યારે મ્યાનમારમાં લશ્કરી બળવાને લોકશાહી તરફના પગલાં પર સીધો હુમલો ગણાવતાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ દેશ પર નવા પ્રતિબંધ લગાવવાની ચેતવણી ઉચ્ચારી છે.

USના રાજ્યના સલાહકારે આંગ સાન સૂ કી સહિતના દેશના ટોચના નેતાઓની અટકાયતના પગલાંની ટીકા કરી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે, આર્મીની માલિકીની ટેલિવિઝન ચેનલ મયાવડી ટીવી પર સોમવારે ઘોષણા કરવામાં આવી હતી કે સેનાએ એક વર્ષ માટે દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે.

આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને એક નિવેદનમાં કહ્યું કે, બર્મા સૈન્ય દ્વારા બળવા, આંગ સાન સૂ કી તેમજ અન્ય અધિકારીઓની અટકાયત અને રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા એ દેશમાં સત્તાના લોકશાહી હસ્તાંતરણ પર પ્રત્યક્ષ હુમલો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકશાહીમાં સેનાએ લોકોને ઇચ્છાને અવગણવી ના  જોઇએ. લગભગ 1 દાયકાથી બર્માની જનતા ચૂંટણી કરાવવા, લોકશાહી સરકાર સ્થાપિત કરવા તેમજ શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણને લઇને સતત કામ કરી રહ્યા છે. આ પ્રગતિનો આદર કરવો જ જોઇએ.

(સંકેત)