Site icon Revoi.in

વિશ્વની દરેક 10મી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ શકે: WHO

Social Share

જીનીવા:  કોરોના વાયરસના સંક્રમણ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને વધુ એક આશંકા વ્યક્ત કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પોતાના નિરીક્ષણમાં જણાવ્યું હતું કે વિશ્વની દરેક 10મી વ્યક્તિ કોરોનાના ચેપથી ગ્રસ્ત થઇ શકે છે. અર્થાત્ હાલમાં કોરોનાના જેટલા દર્દીઓ છે એના કરતાં 20 ગણા લોકો કોરોનાના દર્દી થઇ શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ઇમરજન્સી પ્રોગ્રામના વડા ડૉ.માઇકલ રિયાન અનુસાર આ આંકડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો પ્રમાણે અલગ અલગ હોઇ શકે છે. ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થાય તેવી સંભાવના છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના 34 સભ્યોની કારોબારી સમિતિને બેઠકને સંબોધતા ડૉ.રિયાને કહ્યું હતું કે સંક્રમણને રોકવાના પ્રયાસો ઠેર ઠેર થઇ રહ્યા હતા પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ સંક્રમણ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઇ ચૂક્યું હતું. અનેક લોકો મોતને ભેટ્યા હતા અને બીજા અનેકના જાન બચાવી શકાયા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પરિસ્થિતિ વધુ ખરાબ અને ચિંતાજનક હતી. યૂરોપ અને વેસ્ટર્ન મેડિટરેનિયન સમુદ્રના વિસ્તારમાં ડેથ રેટ વધુ હતો. આફ્રિકા અને પશ્વિમી પેસિફિક સમુદ્ર કાંઠે વસેલા દેશોમાં પરિસ્થિતિ સારી હતી.

ડૉક્ટર રિયાને કહ્યું કે અમારા અંદાજ મુજબ વિશ્વની દસ ટકા વસતિ કોરોનાગ્રસ્ત થઇ હતી. વિશ્વની સાડા સાત અબજની વસતિ ગણીએ તો 76 કરોડ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટી અને WHO દ્વારા અપાયેલા આંકડા કરતાં આ સંખ્યા ઘણી વધુ હોઇ શકે છે.

(સંકેત)