Site icon Revoi.in

IPL -2022નું આયોજન ભારતમાં જ થઇ શકે છે

Social Share

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન પર મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નિર્ણય લેવાય શકે છે કે,ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવે અને તેની મેચો માત્ર મુંબઈમાં જ રમાય શકે છે.જો કે ફરી એકવાર દર્શકોએ ઘરે બેસીને મેચ જોવી પડશે.

જાણકારી મુજબ,બોર્ડ ભારતમાં આ સીઝનનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે. 22 જાન્યુઆરી શનિવારના રોજ બોર્ડ અને તમામ ફ્રેન્ચાઈઝી માલિકો વચ્ચે એક બેઠક થઈ હતી, જેમાં બોર્ડે પોતાની પસંદગી વિશે જણાવ્યું હતું.જો સ્થિતિ વધુ વણસે તો સંયુક્ત અરબ અમીરાત અને સાઉથ આફ્રિકાને પણ વિકલ્પ તરીકે રાખવામાં આવી રહ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,ટૂર્નામેન્ટની મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમ – વાનખેડે, ડીવાય પાટીલ (નવી મુંબઈ) અને બ્રેબોર્ન સ્ટેડિયમ (CCI)માં આયોજિત કરવામાં આવશે.આ સાથે બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે કે,જો જરૂર પડશે તો પુણેમાં પણ કેટલીક મેચો યોજવામાં આવી શકે છે. ગયા વર્ષે, BCCIએ ભારતમાં જ IPLનું આયોજન કર્યું હતું.પરંતુ પછી કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે, બાયો-બબલમાં કેસ આવવા લાગ્યા અને તેને 29 મેચો પછી જ બંધ કરવું પડ્યું. પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તે યુએઈમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

ટૂર્નામેન્ટની શરૂઆતની તારીખમાં પણ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝી માલિકોને જાણ કરી છે કે તે 27 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ કરવાનું વિચારી રહ્યું છે. અગાઉ 2 એપ્રિલથી 15મી સિઝન શરૂ કરવાની યોજના હતી. એવામાં તે મેના પ્રથમ સપ્તાહમાં સમાપ્ત થવાની ધારણા છે.જો કે આ તમામ મુદ્દાઓ પર અંતિમ નિર્ણય 20 ફેબ્રુઆરીએ મળનારી બોર્ડ મિટિંગમાં લેવામાં આવશે.