Site icon Revoi.in

ઈરાનના હુમલા બાદ ઈઝરાયલની જવાબી કાર્યવાહી, અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ઈઝરાયલે ઈરાન પાસેથી બદલો લેવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલે વળતા જવાબમાં ઈરાન પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. સીરિયા અને ઈરાકમાં પણ હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ છે. આ વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. આ હુમલા બાદ ઈરાને અનેક પ્રાંતોમાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ગઈકાલે ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે.

ઈરાને રવિવારે સવારે ઈઝરાયલ પર 200થી વધુ મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર, થયેલા હુમલા બાદ આ જવાબી કાર્યવાહી હોવાનું કહેવાય છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અનુસાર, આ એક લક્ષ્યાંકિત હુમલો છે.

દરમિયાન પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા, એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ભારત ગંભીર રીતે ચિંતિત છે. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. અમે તાત્કાલિક તણાવ દૂર કરવા, સંયમ, હિંસાથી પીછેહઠ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ છીએ.’

મંત્રાલયે કહ્યું કે,” તે બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય દૂતાવાસો ભારતીય સમુદાય સાથે ગાઢ સંપર્કમાં છે. તે મહત્વનું છે કે, પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે.”