Site icon Revoi.in

જમ્મૂઃ એક વર્ષથી રહેતી વ્યક્તિ મતદાન કરી શકશે, ચૂંટણીપંચના નિર્ણયનો રાજકીય પક્ષોએ કર્યો વિરોધ

Social Share

નવ દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કર્યાં હતા. જમ્મુ-કાશ્મીરને વિધનસભાવાળી સરકાર જાહેર કરાઈ હતી. સરકારના આ નિર્ણયનો સ્થાનિક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. દરમિયાન આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષથી વસવાટ કરતા નાગરિકોને પણ મતદાન અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે. જેનો મહેબુબા મુફ્તી સહિતના રાજકીય નેતાઓ વિરોધ નોંધાવ્યો હતો.

જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાના એક નિર્ણયથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મતદાર યાદી સુધારણાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. દરમિયાન, જમ્મુ પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આદેશથી જિલ્લામાં એક વર્ષથી રહેતા લોકો માટે મતદાનની પ્રક્રિયા સરળ કરી દેવાઈ છે. આ આદેશમાં તહસીલદાર અથવા મહેસૂલ અધિકારીઓને રહેઠાણ પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપે છે. પ્રમાણપત્ર આપવાનો હેતુ એવા લોકોને મતદાર યાદીમાં સામેલ કરવાનો છે કે જેમને નોંધણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સે આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

નેશનલ કોન્ફરન્સે કહ્યું હતું કે, મોદી સરકાર જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીમાં 25 લાખ નવા મતદારોને ઉમેરવાનો પ્રયાસ કરી રહી છે. એનસીએ કહ્યું છે કે સરકાર 25 લાખ બિન-સ્થાનિક લોકોને મતદાર યાદીનો ભાગ બનાવવા જઈ રહી છે. અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. ભાજપ ચૂંટણીથી ડરે છે, તે જાણે છે કે તે ખરાબ રીતે હારી જવાની છે. લોકોએ ભાજપના આ ષડયંત્રને મતપેટી દ્વારા પરાસ્ત કરવું જોઈએ. ડેપ્યુટી કમિશનરના આદેશ પર પ્રતિક્રિયા આપતા, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલએ લખ્યું કે, પાર્ટી સરકારના આ પગલાનો વિરોધ કરે છે. ટ્વીટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ ચૂંટણીથી ડરે છે અને જાણે છે કે તે ખરાબ રીતે હારી જશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, જમીનની માલિકીનો રેકોર્ડ જેમાં પાણી/વીજળી/ગેસ કનેક્શન, આધાર કાર્ડ, રાષ્ટ્રીયકૃત/શિડ્યુલ્ડ બેંક/પોસ્ટ ઓફિસની વર્તમાન પાસબુક, ભારતીય પાસપોર્ટ, મહેસૂલ વિભાગના ખેડૂત ખાતાવહીનો સમાવેશ થાય છે. એક વર્ષ માટે, રજિસ્ટર્ડ ભાડું લીઝ ડીડ (ભાડૂતના કિસ્સામાં) અને પોતાના મકાનના કિસ્સામાં રજિસ્ટર્ડ સેલ ડીડનો ઉપયોગ કરીને મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. જમ્મુમાં પણ આમાંના કોઈપણ દસ્તાવેજોને રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારી શકાય છે.

(Photo-File)