Site icon Revoi.in

દિવાળી બાદ લગ્નસરાની સીઝન જામશે, લોકોએ લગ્નો માટે સોનાની ખરીદી શરૂ કરતા સોની બજારમાં તેજી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાંથી પસાર થયા બાદ હવે જનજીવન પણ રાબેતા મુજબનું બનતા ઉદ્યોગ-ધંધામાં પણ તેજી આવી રહી છે. દિવાળીના પર્વને હવે 19 દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. શહેરમાં દશેરાના દિવસે સોના-ચાંદીના વેચાણમાં 50થી 60 ટકા જેટલી ઘરાકી રહી હોવાનું અનુમાન છે. દશેરાએ  શહેર અને ગ્રામ્ય વિસ્તારો મળીને 20થી 25 કિલો સોનાનું વેચાણ થયું હોવાનું વેપારીઓનું માનવું છે. કોરોના બાદ લોકો સૌથી વધારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા થયા છે, જેના કારણે ગોલ્ડ માર્કેટમાં ઘરાકી જોવા મળી રહી હોવાનું પણ મનાય છે.

રાજ્યમાં ગયા વર્ષે કોરોનાને કારણે લગ્નો યોજી શકાયા નહતા. આ વર્ષે દિવાળી બાદ એટલે કે ડિસેમ્બર મહિનામાં અનેક લગ્નો યોજાશે. એટલે દિવાળી પહેલા જ સોનાની ખરીદી નિકળી છે. જ્વેલરી બજારના વેપારીઓએ કહ્યું હતું કે, દિવાળી બાદ સોનાના ભાવમાં વધારો થશે તેમ લોકો માની રહ્યા છે એટલે હાલ સસ્તા ભાવ હોવાથી લોકો લગ્નો માટે સોનું ખરીદી રહ્યા છે. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘરાકી સારી નીકળી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવાળી તથા લગ્નસરાને કારણે સોનાચાંદીની ખરીદી વધી છે. માત્ર દશેરાએ જ 20થી 25 કિલો સોનાનું વેચાણ થયું  હોવાનું કહેવાય છે.

શહેરના માણેક ચોકના સોની બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી નવરાત્રીમાં ધંધો મંદ હતો. જોકે હાલ કોરોનાની અસર ઘટતાં અને સોનાના ભાવ ઘટતાં ઘરાકી ખૂલી છે. તાજેતરમાં સોનાના ભાવ ઘટીને રૂ. 47,500 પ્રતિ 10 ગ્રામ સુધી થયા હતા, પરંતુ હાલમાં ડોલર સામે રૂપિયો નબળો પડતાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે કોરોના કારણે આ સમયે અમદાવાદમાં માંડ રોજનું રૂ. 8થી 10 કરોડનું વેચાણ થતું હતું. જોકે આ વર્ષે શ્રાદ્ધ બાદ એટલે કે નવરાત્રીમાં રોજનું અંદાજે 25થી 30 કરોડના સોનાનું વેચાણ થઈ છે. જ્યારે બુલિયનમાં રોજનું 100થી 125 કિલો સોનાનું વેચાણ થઈ રહ્યું છે.