Site icon Revoi.in

જૂનાગઢઃ માનવભક્ષી સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ટ્રેકરને વાગતા મોત

Social Share

જૂનાગઢ, 5 જાન્યુઆરી 2026: ગીરના જંગલો અને વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. વિસાવદરના નાની મોણપરી ગામે માસૂમ બાળકનો શિકાર કરનાર માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વન વિભાગના નિષ્ણાત ટ્રેકર અશરફભાઈ ચૌહાણનું ‘એનેસ્થેસિયા’નું ઇન્જેક્શન વાગવાથી મોત નીપજ્યું છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલી ટ્રેન્ક્વિલાઇઝર ગનનું નિશાન ચૂકતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની વિગતો મુજબ, નાની મોણપરી ગામમાં 4 વર્ષના માસૂમ બાળક શિવમ પર હુમલો કરી તેને ફાડી ખાનાર સિંહણને પકડવા વન વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણનું લોકેશન મળતા જ તેને બેભાન (Tranquilize) કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. વનકર્મીઓએ ટ્રેન્ક્વિલાઇઝર ગન વડે ઇન્જેક્શન છોડ્યું હતું, પરંતુ કમનસીબે તે સિંહણને વાગવાને બદલે ત્યાં હાજર ટ્રેકર અશરફભાઈ ચૌહાણને વાગી ગયું હતું.

સામાન્ય રીતે સિંહ કે વાઘ જેવા કદાવર પ્રાણીને બેભાન કરવા માટે એનેસ્થેસિયાનો અત્યંત હાઇ ડોઝ આપવામાં આવે છે. આ હાઇ ડોઝ માનવ શરીર માટે જીવલેણ સાબિત થાય છે. ઇન્જેક્શન વાગતા જ અશરફભાઈની હાલત લથડી હતી. તેમને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોની તમામ મહેનત નિષ્ફળ રહી હતી અને આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને CFO રામરતન નાલાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વન અધિકારીઓના મતે, ગીરમાં વન્યજીવોના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન આ પ્રકારની ટેકનિકલ ખામી કે અકસ્માતને કારણે કોઈ ટ્રેકરનું મોત થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. અશરફભાઈ ચૌહાણ વન વિભાગના બાહોશ અને અનુભવી ટ્રેકર ગણાતા હતા. તેમના અવસાનથી વન વિભાગે એક કર્મનિષ્ઠ સેવક ગુમાવ્યો છે. હાલમાં આ મામલે વન વિભાગ દ્વારા આંતરિક તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે કે કેવી રીતે નિશાન ચૂક્યું અને આ અકસ્માત સર્જાયો.

આ પણ વાંચોઃ અમરેલી: ખેડૂતોને નકલી ખાતર પધરાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

Exit mobile version