Site icon Revoi.in

કેજરિવાલને 2 જૂનના રોજ સરન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજીની તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીની એક્સાઈઝ પોલિસીના મામલે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. જેથી તેમને 2 જૂનના રોજ જેલમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરિવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ નોંધ્યું હતું કે, 17 મેના રોજ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. તે દિવસે સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની પરવાનગી આપી હતી. તેથી અરજીની સુનાવણી થઈ શકે તેમ નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જોકે, કોર્ટે કેજરીવાલને ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. દરમિયાન દિલ્હીના સીએમ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તબીબી તપાસ માટે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી હતી. કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું હતું કે, ધરપકડ બાદ તેમનું 7 કિલો વજન ઘટી ગયું છે. આટલું જ નહીં તેનું કીટોન લેવલ પણ વધી ગયું છે. આવી સ્થિતિમાં આ લક્ષણો કોઈ ગંભીર બીમારીના હોઈ શકે છે. મેક્સના ડોક્ટરોએ તેની તપાસ કરી છે. હવે PET-CT સ્કેન અને ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં તેમને આ તપાસ માટે 7 દિવસનો સમય આપવો જોઈએ.

સીએમ કેજરીવાલે આ અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જો કે, વેકેશન બેન્ચે તરત જ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કેજરીવાલ દ્વારા મોડી અરજી દાખલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ એએસ ઓકની ખંડપીઠે કહ્યું કે, મુખ્ય મામલા પરનો આદેશ 17 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. તે બેંચના સભ્ય જજ ગયા અઠવાડિયે વેકેશન બેન્ચમાં હતા. ત્યારે તમે આ માંગ કેમ ન કરી?