Site icon Revoi.in

કચ્છના બન્ની વિસ્તારના ગામડાંઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, પશુપાલકોની દયનીય હાલત

Social Share

ભૂજ:  કચ્છના સકાભઠ્ઠ ગણાતા બન્ની વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ભર ઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.  મહિલાઓને બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ વિસ્તારના અમુક ગામડાઓમાં ખાસ કરીને વાંઢમાં હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણી માટે લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જેમાં ભુજ તાલુકાના બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામડાંના લોકો પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે. દર વર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળો પૂર્ણ થવાને બે-અઢી મહિના જેટલો સમય બાકી છે, ત્યારે પશુપાલકો માલ-ઢોર લઈને હિજરત કરી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે. ભગાડીયા ગામમાં 2500 લોકોની વસ્તી છે 6500 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા નેસ અને કૂવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહ્યાં છે. ધોમધમતા આકારા તાપમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે.  પાણી પણ ખૂબ દૂષિત મળી રહ્યું છે. ગામના સ્થાનિકો કહે છે કે, જીવન જરૂરી પાણી પણ ન મળતું હોવાથી કેટલાક લોકોને હિજરત કરવાનો વારો પણ આવ્યો છે. ભૌગોલિક રીતે આ વિસ્તાર સૂકો મુલક છે, ત્યારે દર ઉનાળામાં  સ્થિતિ બદતર બને છે.. આ વિસ્તારમાં માનવ વસ્તી કરતાં પશુઓની સંખ્યા વધારે છે. ઉનાળામાં ઘાસ અને પાણીની સમસ્યાના કારણે માલધારીઓને હિજરત કરવાની નોબત આવે છે. ઉનાળાના પ્રારંભ સાથે જ આ વિસ્તારમાં ઘાસ અને પાણીની તંગી સર્જાય છે. જેને જોતા આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું અત્યારથી જ લાગી રહ્યું છે. લોકોને પશુના અવાડામાથી દૂષિત પાણી પીવાનો સમય આવ્યો છે. બન્ની વિસ્તારના પશુ અને માનવીઓ પાણી માટે લાચાર છે. ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પાણીની સમસ્યા દૂર થતી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બન્ની વિસ્તારના લોકોને  પાણી ન મળવા પાછળ બીજું કારણ એ છે કે અહીં પાણીની લાઇનો છે, પરંતુ ભુજથી ભીરન્ડિયારા થઈ નાની દધ્ધર ગામે પાણી પહોંચે છે. પણ રસ્તામાં 10થી 12 સ્થળોએ પાણીની મુખ્ય લાઈનમાંથી વાલ્વ ખોલી, પાણી ચોરી કરીને છેવાડા સુધી પાણી પહોંચવા દેવાતું નથી.