Site icon Revoi.in

‘મન કી બાત’ કાર્યક્રમથી રેડિયો શ્રોતાઓની સંખ્યામાં થયો વધારો: પ્રસાર ભારતીના સીઈઓ

Social Share

દિલ્હી : પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગૌરવ દ્વિવેદીએ શુક્રવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમથી રેડિયો શ્રોતાઓની સંખ્યામાં વધારો થયો છે અને માધ્યમમાં ફરીથી રસ જાગ્યો છે.

કાર્યક્રમ ‘મન કી બાત’ 3 ઓક્ટોબર 2014 ના રોજ શરૂ થયો હતો અને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11:00 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન (DD) નેટવર્ક પર પ્રસારિત થાય છે. 30 મિનિટના શોનો 100મો એપિસોડ 30 એપ્રિલે પ્રસારિત થશે

દ્વિવેદીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રેડિયો કાર્યક્રમે સમુદાયના બંધનને મજબૂત કરવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું કે ‘મન કી બાત’ એ રેડિયો શ્રોતાઓની સંખ્યામાં વધારો કર્યો છે અને આ માધ્યમમાં તેમની રુચિ ફરી જાગી છે. દ્વિવેદીએ કહ્યું કે એક અભ્યાસ મુજબ 100 કરોડથી વધુ શ્રોતાઓએ ઓછામાં ઓછા એક વખત આ રેડિયો કાર્યક્રમ સાંભળ્યો છે.

ઉલ્લેખનીય છે કે,ભારતીય જનતા પાર્ટી (BJP) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો પ્રસારણ ‘મન કી બાત’ના 100મા એપિસોડને ‘અભૂતપૂર્વ’ જનસંપર્ક કાર્યક્રમ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને તેમણે દેશભરના દરેક વિધાનસભા મતવિસ્તારમાં સરેરાશ 100 સ્થળોએ સુવિધાઓનું આયોજન કરવાની યોજના બનાવી છે જેથી લોકો તેને સાંભળી શકે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે મોદીનું સંબોધન સાંભળવા માટે પાર્ટી વિદેશ સહિત લગભગ ચાર લાખ સ્થળોએ વ્યવસ્થા કરશે. તેમના મતે, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા તેને “ઐતિહાસિક” બનાવવા માટે સમગ્ર કવાયતની દેખરેખ રાખી રહ્યા છે. રેડિયો પ્રસારણ મહત્તમ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પક્ષના વિદેશી એકમો અને કેટલીક બિન-રાજકીય સંસ્થાઓ પણ સામેલ કરવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે પ્રસિદ્ધ નાગરિકો માટે તમામ રાજ્યપાલોના સત્તાવાર નિવાસસ્થાનો અને ભાજપ અથવા તેના સહયોગી પક્ષોના મુખ્ય પ્રધાનોના ઘરોમાં કાર્યક્રમ સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.