Site icon Revoi.in

મહેસાણાઃ 20 બહુમાળી ઈમારતોને ફાયરસેફ્ટી મુદ્દે પાલિકાએ પાઠવી નોટિસ

Social Share

અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે ફાયર સેફ્ટી અને એનઓસી મુદ્દે તંત્રનો ઉધડો લીધો હતો. દરમિયાન ફાયર સેફ્ટી મુદ્દે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની નગરપાલિકા એકશનમાં આવી છે. દરમિયાન મહેસાણાની 20 જેટલી બહુમાળી ઈમારતોને ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ આપવામાં આવી છે. તેમજ કાર્યવાહી નહીં કરવામાં આવે તો વીજ, પાણી અને ગટર કનેકશન કાપી નાખવાની ચીમકી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં ફાયર સેફ્ટી મુદ્દે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને બહુમાળી ઈમારતો સામે કાર્યવાહી શરૂ કરી છે. આમ 20 જેટલી ઈમારતોને નોટિસ પાઠવીને પાંચ દિવસની અંદર ફાયરસેફ્ટી મુદ્દે અરજી કરવાની તાકીદ કરાઈ છે. 3 જેટલી બહુમાળી ઈમારતોએ ફાયરસેફ્ટી મુદ્દે પાલકામાં અરજી કરી છે. નગરપાલિકાએ સમગ્ર મહેસાણામાં બહુમાળી ઈમારતોમાં ફાયરસેફ્ટીને લઈને સર્વે કર્યો હતો. સર્વેના અંતે 23 જેટલી બહુમાળી ઈમારતોને ફાયર સેફ્ટી મુદ્દે તાકીદ કરતા 3 બહુમાળી ઈમારતોએ અરજી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીઓના મોત થયાં હતા. જ્યારે સુરતમાં એક બિલ્ડીંગમાં કાર્યરત ટ્યુશન ક્લાસીસમાં આગ લાગતા કેટલાક વિદ્યાર્થોના મોત થયાં હતા. આવી ઘટનાઓને લઈને હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. બીજી તરફ સફાળી જાગેલી સરકારે પણ ફાયરસેફ્ટી મુદ્દે કાર્યવાહી શરૂ કરી હતી.