Site icon Revoi.in

ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં હવે મંત્રીઓ અને અધિકારીઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપની સરકારે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ દિલ્હીની સુચના બાદ મંત્રીઓને પણ કામગીરીનું લેશન આપવામાં આવી રહ્યું છે. મંત્રીઓએ સોમવારથી શુક્રવાર સુધી સચિવાલયમાં ફરજિયાત હાજરી આપવી પડશે. અને શનિ-રવિવારે જ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે. એવો નિયમ બનાવ્યા બાદ હવે કેબીનેટની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓને મોબાઈલ ફોન સાથે લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  વડાપ્રધાન મોદીએ સરકારને સાત સૂત્રો પર કામગીરી કરવા સૂચન કર્યું છે. જેનું સરકાર દ્વારા પાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવેથી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના તમામ સચિવો અને અંગત સચિવોને પણ ફોન લીધા વિના જ આવવું પડશે. આમ કેબિનેટની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં પ્રથમ મંત્રીઓ વચ્ચે ચર્ચા થાય છે. કેબિનેટ બેઠકમાં અધિકારીઓની જેમ હવે મંત્રીઓ પણ મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. આગામી મળનારી કેબિનેટ બેઠકથી આ નિયમનું અમલવારી કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચામાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે. આ ઉપરાંત મંત્રીઓ ચાલુ કેબિનેટ બેઠકમાં મોબાઈલનો ઉપયોગ ન કરે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,મંત્રીઓની ચર્ચા પૂર્ણ થયા બાદ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં ભાગ લેતા હોય છે. જો કે, અત્યાર સુધીમાં કેબિનેટની બેઠકમાં અધિકારીઓ મોબાઈલ લઈને પ્રવેશ કરી શકતા હતા. આ ઉપરાંત કેબિનેટમાં અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ પણ કરી શકતા હતા. હવે મુખ્યમંત્રી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કેબિનેટ બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ અધિકારીઓએ પોતાનો મોબાઈલ બહાર જમા કરવો પડશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચાની ગુપ્તતા જળવાય તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં સચિવ અને સેક્રેટરી કક્ષાના અધિકારીઓ ભાગ લેવા આવતા હોય છે. તમામ અધિકારીઓએ ચુસ્તપણે આ નિયમનું પાલન કરવાની મુખ્ય સચિવ દ્વારા સૂચના આપવામાં આવી છે. નવી સરકાર બની છે અને નવા નવા નિયમો પણ આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાના તોળાતા ખતરા વચ્ચે મંત્રીઓ ખુદ સાવચેતી રાખવા લાગ્યા છે. મંત્રીઓ તો માસ્ક પહેરવા લાગ્યા છે પરંતુ મુલાકાતી પણ સાવચેતી રાખે તેવો પ્રયાસ સરકારના મંત્રીઓ કરવા લાગ્યા છે. દરેક મંત્રી હવે આગ્રહ રાખી રહ્યા છે કે કોઈ પણ મુલાકાતી આવે તો તેઓ માસ્ક અચૂક પહેરે. આવા સંજોગોમાં મંત્રીઓએ પોતાની ચેમ્બર બહાર વિનંતી સાથે નોટિસ પણ લગાવવાની શરૂઆત કરી છે કે મંત્રીની મુલાકાત કરવા માટે માસ્ક અચૂક પહેરવું.