Site icon Revoi.in

રાજ્યની વધુ ૯ નગરપાલિકાઓમાં બનાવાશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

Social Share

ગાંધીનગર: રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થવાનો લક્ષ્યાક ટૂંક સમયમાં પૂર્ણ કરાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની આ નવ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવાનો અભિનવ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નગરપાલિકાઓની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ સૈદ્ધાંતિક મંજૂરીથી આપ્યો છે. રાજ્યના શહેરો-નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે તે અંતર્ગત તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં મુખ્યપ્રધાનના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યના તમામ શહેરોમાં પીવાના પાણી તથા ભુગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે. તદઅનુસાર ભુગર્ભ ગટર યોજનાના કુલ ૧૮૩ કામો ૧૫૬ નગરપાલિકાઓ માટે મંજૂર કરવામાં આવ્યા છે અને ૧૪૪ નગરપાલિકાઓમાં આવા કામો પૂર્ણ થઈ ગયા છે. મુખ્યપ્રધાને હવે મંજૂર કરેલ આ નવ નગરપાલિકાઓના S.T.Pના કામો પૂર્ણ થવાથી આ નગરોના લાખોની સંખ્યામાં શહેરીજનોને લાભ મળશે અને શહેરીજીવન સુખાકારીમાં વૃધ્ધિ થશે. એટલું જ નહિ, સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાના કારણે ટુંક સમયમાં જ રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓમાં STP પ્લાન્ટ કાર્યરત કરવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક પૂર્ણ થશે.