Site icon Revoi.in

મોરબી દૂર્ઘટનાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, સરકાર અને નગરપાલિકા સહિતના પક્ષકારોને નોટિસ

Social Share

અમદાવાદઃ મોરબી દુર્ઘટના મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને પ્રજા આ ઘટનાને હજુ ભુલી શક્યા નથી. દરમિયાન દિવાળીના વેકેશન બાદ હાઈકોર્ટમાં કાર્યવાહી આજથી શરૂ થઈ હતી. હાઈકોર્ટમાં પ્રથમ મોરબી દૂર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ પાઠવીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જે બાદ મોરબી દૂર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ તરફથી કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર પંચ, મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યુ છે અને સમગ્ર મામલે સુઓ મોટો અરજી દાખલ કરી છે. હાઇકોર્ટ દ્વારા કેટલાક નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. જેમાં તમામ પક્ષકારોને એક સપ્તાહ બાદ એટલે કે સોમવાર સુધીમાં પોતાના તરફથી જે જે રિપોર્ટ તૈયાર કરવા સૂચન કર્યુ છે. 14 નવેમબરે આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે. જેમાં પક્ષકારો પોતાનો રિપોર્ટ રજુ કરશે.

મોરબી દુર્ઘટનાને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે, આ કેસમાં હાઈકોર્ટ હસ્તક્ષેપ કરીને જવાબદારો સામે પગલા લે. આ અરજીમાં મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોને ન્યાય મળે તેવી અરજીમાં રજૂઆત કરાઈ હતી. જેને લઇને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં નવા વર્ષે ઝુલતા પુલને રિનોવેશન બાદ ખુલ્લો મુકાયો હતો. પુલ ખુલતો મુકાયાંના ગણતરીના દિવસોમાં ઝુલતો પુલ તુટી પડ્યો હતો. આ દૂર્ઘટનામાં 130થી વધારે લોકોના મોત થયાં હતા. આ બનાવને પગલે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોએ પીડિતોની મુલાકાત લીધી હતી.