Site icon Revoi.in

પાલિતાણામાં ટ્રાફિકજામની વારંવાર સર્જાતી સમસ્યાથી વાહનચાલકો પરેશાન

Social Share

પાલીતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણા શહેરની ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. જેમાં ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે દ્વિમાર્ગીય કરતા આ રોડ ઉપર ચક્કાજામ અકસ્માતના બનાવો વારંવાર બની રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી રહ્યા છે. આ રોડ ઉપર મુખ્ય શાક માર્કેટ, ભૈરવનાથ મંદિર, હવેલી, કન્યાશાળા, જુમ્મા મસ્જિદ, સ્ટેટ બેંક, લાઇબ્રેરી, સોની બજાર, સુખડિયા બજાર આવેલી છે. આ વિસ્તારમાં આવવા જવા માટે આ રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકદમ સાંકડો હોય આ રોડ ઉપર લારીઓ, ભારે વાહનો, થ્રી વ્હીલ ટેમ્પાઓ, અને રિક્ષાઓ પ્રવેશને લીધે વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાના સત્તાધિશોએ સાથે મળીને ટ્રાફિક સમસ્યાનો હલ શોધવો જોઈએ. એવી વાહનચાલકોમાં માગ ઊઠી છે.

પાલિતાણા ભેરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના રોડ ઉપર સૌથી વધુ ટ્રાફિક સવારે 10 થી 1 અને સાંજે 5 થી 7 સુધી જોવા મળતો હોય છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોકના માર્ગને સવારના અને સાંજના અમુક સમય માટે એક માર્ગી જાહેર કરવાની જરૂર છે. શહેરના મુખ્ય જાહેર રાજમાર્ગ અને આંતરિક માર્ગો પર દબાણો કરવામાં આવતા રોડ સાંકડા થઈ રહ્યા છે. મુખ્ય માર્ગો ઉપર લારીઓવાળા તેમજ પાથરણા પાથરીને વેપલો કરતા લોકો જ્યાં ત્યાં આડેધડ ખડકાઈ જાય છે. આ ઉપરાંત અન્ય વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. તેમજ દુકાનદારો તથા તેના ગ્રાહકો દ્વારા રોડની બંને બાજુ ટુ-વ્હિલર્સ વાહનોનો કરાતો ખડકલો રોડને સાંકડો કરી દે છે.

પાલીતાણા જૈનોનું સુપ્રસિદ્ધ તિર્થસ્થાન હોવાથી દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકો વાહનો લઈને આવે છે તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોના વાહનો પાર્ક કરવા શહેરમાં એક પણ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા નથી. નગરપાલિકાએ પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે. દરમિયાન ડીસીએમ દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બાબતો સામે ખાસ કામગીરી હાથ ધરવા નગરપાલિકા અને પોલીસ તંત્રને સુચના આપવામાં આવેલ છે તેથી ટ્રાફિક અંગેની કામગીરી ટૂંકમાં હાથ ધરાશે. (file photo)