Site icon Revoi.in

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે,ભાજપ 300થી વધુ સીટો જીતશે-અમિત શાહ

Social Share

ગુવાહાટી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ આસામના પ્રવાસે છે. અહીં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું છે કે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અમિત શાહે પોતાની રેલીમાં એવો પણ દાવો કર્યો છે કે આ વખતે કોંગ્રેસ તેની વર્તમાન સીટો કરતા ઓછા આંકડા સુધી પહોંચશે. શાહે અહીં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી જેમાં તેમણે 44,703 લોકોને સરકારી નોકરીની નિમણૂક આપી છે.

અમિત શાહે પોતાના ભાષણમાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ખૂબ જ નકારાત્મક વલણની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ આ નકારાત્મક વલણ સાથે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરી રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સમગ્ર દેશમાં 300થી વધુ બેઠકો જીતશે અને કોંગ્રેસ વિપક્ષી પાર્ટીનો દરજ્જો પણ ગુમાવશે.

શાહે કહ્યું કે નકારાત્મક રાજનીતિને કારણે કોંગ્રેસ એવું બહાનું બનાવી રહી છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે અને તેનો બહિષ્કાર કરી રહી છે. તેમણે કહ્યું કે આવા ઉદાહરણો કોંગ્રેસ અને વિપક્ષ શાસિત રાજ્યોમાં સામે આવ્યા છે જ્યાં રાજ્યપાલો, સંબંધિત મુખ્યમંત્રીઓને બદલે, સોનિયા ગાંધી-રાહુલ ગાંધી જેવા કોંગ્રેસી નેતાઓએ નવી વિધાનસભાઓનું ઉદ્ઘાટન કર્યું છે.

શાહે આ દરમિયાન કોંગ્રેસના શાસનની યાદ અપાવી છે કે કોંગ્રેસના વડાપ્રધાનને સંસદમાં બોલવા દેવામાં આવ્યા ન હતા. ભારતીય જનતાએ પીએમ મોદીને આ અધિકાર આપ્યો છે. વડાપ્રધાનનું સન્માન ન કરીને તે લોકોના ચુકાદાનું અપમાન કરી રહી છે. અમિત શાહે કહ્યું કે ભાજપે આસામના લોકોને વચન આપ્યું હતું કે સરકાર 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા 1 લાખ સરકારી નોકરીઓ આપશે. માત્ર અઢી વર્ષમાં સરકારે 86 હજાર સરકારી નોકરીઓ આપી છે. બાકીની નોકરીઓ આગામી 6 મહિનામાં આપવામાં આવશે.