Site icon Revoi.in

રાજકોટની તરસ છીપાવવા માટે ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠલવાયા, હવે આજી ડેમ પણ ભરાશે

Social Share

રાજકોટઃ શહેરમાં દર ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જો કે સૌની યોજના હેઠળ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતું હોવાથી મહદઅંશે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ચોમાસાને હજુ એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની બુમો ઉઠતા પાણી સપ્લાયમાં વધારો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સૌની યોજના હેઠળ ન્યારી-1 ડેમમાં નર્મદાનું 102 એમસીએફટી પાણી ઠલવાતા શહેરની પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં આજી ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠલવાશે.

ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભર ઉનાળે પાણીની તંગી નિવારવા સૌની યોજના દ્વારા નર્મદાનાં નીર આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં ચોમાસુ ખેંચાય તો પણ પાણીની મુશ્કેલી પડે નહીં તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજી અને ન્યારી ડેમમાં  સૌની યોજના હેઠળ નર્મદાના નીર આપવા ગાંધીનગરમાં રજુઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ ન્યારી-1માં 102 MCFT નર્મદાનાં નીર ઠલવાયા છે. જ્યારે આગામી સપ્તાહમાં આજીડેમમાં પણ નવા નીર ઠાલવવામાં આવશે.

આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં સૌની યોજનાનું પાણી ન્યારી ડેમમાં ઠલવવાનું ચાલુ છે. ધીમે ધીમે 102 MCFT પાણીની આવક થઇ છે. મ્યુનિ.ના વોટર વર્કસ વિભાગના કહેવા મુજબ રાજય સરકાર પાસે આજી-1 તેમજ ન્યારી-1 ડેમ માટે સૌની યોજનાનું પાણી માંગ્યું હતું. જે અંતર્ગત તાજેતરમાં ન્યારીમાં પાણીની આવક શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 102 MCFT પાણી ઠલવાઇ ચૂક્યું છે. જ્યારે આગામી સપ્તાહથી સૌની યોજના હેઠળ પાણી ઠાલવીને આજી-1 ડેમ ભરી દેવાશે. આજી ડેમમાંથી રાજકોટને તા.4 જુલાઇ સુધી પાણી મળે તેમ છે. કુલ 1187 એમસીએફટીની ક્ષમતા સામે હાલ ડેમમાં 16.31 ફુટ એટલે કે 543 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાંથી દરરોજ 4 MCFT જેટલું પાણી માત્ર વેસ્ટ ઝોન માટે ઉપાડવામાં આવે છે. જેને લઈને રાજ્ય સરકારને મેનાં અંત સુધીમાં નર્મદાનાં નીર આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આજીડેમમાં હજુ આવક શરૂ થઇ નથી, છતાં ચાલુ મહિનો કોઇ મુશ્કેલી નથી. એવું સૂત્રો માની રહ્યા છે.