Site icon Revoi.in

નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારોઃ 1.61 લાખ ક્યુસેક પાણી છોડાયું

Social Share

અમદાવાદઃ હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 1.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. તેમજ અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતા. જો કે, મેઘરાજાએ વિરામ લેતા પરિસ્થિતિ ધીમે-ધીમે થાળે પડી છે. તેમજ નદીઓ ઉપર બાંધવામાં આવેલા ડેમમાં જળ સપાટી સ્થિર થઈ છે. નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાં ગઈ કાલે પાણીનું સ્તર ઘટ્યા બાદ ફરીથી પાણીની આવકમાં વધારો થતા ડેમની જળ સપાટી 135.93 મીટરે પહોંચી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા નીરની આવક ચાલુ છે. ઉપરવાસમાંથી 1.62 લાખ કયુસેક પાણીની સરદાર સરોવર ડેમમાં આવક થઈ રહી છે જેથી જળસપાટી વધીને 135.93 મીટર સુધી પહોંચી હતી. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર સુધી ખોલીને ડેમમાંથી 1.61 લાખ ક્યુસેક પાણીની કુલ જાવક થઇ રહી છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના ગામોને સાબદા રહેવા માટે તાકીદ કરાઈ છે.