રાજકોટઃ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી અગાઉ આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું હોવાથી સરકારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને 80 કરોડનું તોતિંગ બીલ ફટકાર્યું છે. ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી કાર્યરત હતા ત્યારે સૌની યોજના મારફત જળસંકટ સમયે નર્મદાનું પાણી આજીડેમમાં ઠાલવવામાં આવતું હતું. છેલ્લા ચાર વર્ષથી જળસંકટ સમયે આ પાણી સૌની યોજના થકી આપવામાં આવતું હતું. ચાર વર્ષમાં રૂપાણી સરકારમાં ક્યારેય પાણીનું બિલ આપવામાં આવ્યું નથી. પરંતુ નવી સરકારે રાજકોટ મનપાએ ચાર વર્ષનાં પાણીનું 70 કરોડનું બિલ અને 10 કરોડનું વ્યાજ સહિત 80 કરોડનું બિલ ફટકાર્યું છે.
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમ પણ છલોછલ થવાની તૈયારીમાં છે. 34 ફૂટની સપાટી ધરાવતા આ ડેમમાં હાલ 95 ટકા પાણી ભરાય ગયું છે. હાલ આ ડેમની સપાટી 33.50 ફૂટે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના લોકોને પીવાનું પાણી પૂરૂ પાડવા ભાદર-1 ડેમમાંથી પણ પાણી લેવામાં આવે છે. આ ડેમ ભરાતા જિલ્લાનાં 22 લાખ લોકોને ફાયદો થશે.