Site icon Revoi.in

રાજકોટની તરસ છીપાવવા આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠલવાશે

Social Share

રાજકોટઃ શહેરમાં દર ઉનાળે પાણીનો કકળાટ રહેતો હતો. પરંતુ સૌની યાજનાનો લાભ મળતા શહેરમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સમયાંતરે રાજ્ય સરકાર પાસે નર્મદાના નીરની માગ કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર મ્યુનિ.દ્વારા થયેલી માગ મુજબ રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનીર તારીખ 7 મે આસપાસ આજી 1 અને ન્યારી 1 ડેમમાં ઠાલવવામાં આવશે. જેમાં આજી-1માં 201 એમસીએફટી તેમજ ન્યારી-1માં 165 એમસીએફટી નીર ઠાલવવામાં આવશે એવું મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું  હતું.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા આજી-1, ન્‍યારી-1 અને ભાદર ડેમ આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસતા છલોછલ ભરાઇ ગયા હતા. પરંતુ દિવસેને દિવસે પાણીની માગ વધતા શહેરની એક જીવાદોરી સમા આજી-1 અને ન્‍યારી-1 ડેમમાં સૌની યોજનાનું 500થી 1000 એમસીએફટી પાણી ઠાલવવા મ્યુનિ. દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ રજૂઆતને મંજૂરી આપી પ્રથમ તબક્કે આજીમાં 800 એમસીએફટી અને ન્‍યારીમાં 105 એમસીએફટી નર્મદાનાં નીર ઠાલવવામાં આવ્‍યા હતા. ​​​​​​​જો કે, હાલ જળાશયોમાં તા.  31 મે સુધી ચાલે તેટલું પાણી છે, આમ છતાં હવે સૌની યોજનાનું બાકી રહેલું પાણી આ બંને ડેમોમાં 15 મે સુધીમાં ઠાલવવા મનપા તંત્ર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્‍યાને લઈ રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલું આજી-1 ડેમમાં 201 એમસીએફટી તથા ન્‍યારી-1 ડેમમાં 165 એમસીએફટી પાણી આગામી 7મેથી ઠાલવવામાં આવે તેવી શક્યતા છે. આમ 15 મે કરતા નર્મદાનીર એક સપ્તાહ વહેલું આવી જતા શહેરીજનોને પાણીની કોઈ ચિંતા રહેશે નહીં.

​​​​​​​આ ઉપરાંત વરસાદ ખેંચાઇ તો હજુ પણ વધુ નર્મદાના નીર મળી શકે તેમ છે. એટલું જ નહીં આ માટે અગાઉથી જ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે 465 એમસીએફટી આજીડેમમાં અને 201 એમસીએફટી ન્યારી ડેમમાં ઠાલવવામાં આવે તેવી માગ રાજ્ય સરકાર સમક્ષ લેખિતમાં કરવામાં આવી ચૂકી છે. આ કારણે જ વરસાદ મોડો થશે તો પણ શહેરીજનોને પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીં તે નિશ્ચિત છે.