Site icon Revoi.in

તો ખતરનાક સાબિત થઇ શકે છે કોરોનોની બીજી લહેર, જાણો એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શું કહ્યું

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે. કોરોના સંક્રમણની ઝડપી ગતિને લઇને દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, કોરોના મહામારી ફેલાવનાર સાર્સકોવ-2નો નવો સ્ટ્રેન સંક્રમણ ફેલાવવાની ગતિ પ્રમાણે જૂના કે મૂળ સ્ટ્રેનથી ખૂબ વધુ ખતરનાક છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સ્થિતિમાં ફેરફાર ના થયો તો વધતા સંક્રમણ દરને કારણે આપણી હેલ્થ સિસ્ટમે તેની કિંમત ચૂકવવી પડશે. ગુલેરિયાએ પ્રશાસન-એજન્સીઓને જમીની સ્તર પર કોવિડ દિશાનિર્દેશો પાલન કરાવવાને લઇને આકરા પગલા ભરવા પર ભાર મૂક્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના ઝડપથી ફેલાવા પાછળનું કારણ માસ્ક ના પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરવું, સમયસર હાથ સ્વચ્છ ના રાખવા જેવી બેદરકારી છે. હવે લોકો ચિંતામુક્ત થઇ ગયા છે અને સંક્રમણને લઇને વધુ સતર્ક નથી. તેના કારણે રોજ બરોજ હજારો કેસ આવી રહ્યા છે.

એક દર્દી ગત વખતના મુકાબલે વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. પહેલા 1 દર્દીના સંપર્કમાં આવનાર 30 થી 40 ટકા લોકો સંક્રમિત થતા હતા, પરંતુ આ વખતે આ આંકડો 80-90 ટકાએ પહોંચી ગયો છે. પહેલા કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છતાં 100માંથી 60-70 લોકો સંક્રમિત થવાથી બચી જતા હતા પરંતુ હવે માત્ર 10-20 લોકો જ બચી શકે છે.

કોરોના મહામારી ફેલાવનાર સાર્સકોવ-2 વાયરસના વિશ્વભરમાં ઘણા વેરિએન્ટ મળ્યા છે. તેમાં યૂકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના વેરિએન્ટે તબાહી મચાવી છે. દિલ્હીમાં યૂકે અને આફ્રિકી વેરિએન્ટના દર્દીઓ જોવા મળ્યા છે.

તેઓએ લોકોને અપીલ કરીને વેક્સીન લેવાનું કહ્યું છે. તેઓએ કહ્યું કે, રસીકરણના માધ્યમથી કોવિડ પર નિયંત્રણ મેળવી શકાય છે, પરંતુ એવું નથી કે તે કોવિડ વિરુદ્વ સંપૂર્ણ સુરક્ષિત કરી દે છે. વેકસીન તમને ઇમ્યૂનિટી આપે છે, તમને સંક્રમણથી બચાવતી નથી.

(સંકેત)