Site icon Revoi.in

અમરનાથ યાત્રાએ જવા માટે નોંધી લેજો આ તારીખ, બેંકોમાં શરૂ થશે રજિસ્ટ્રેશન

Social Share

નવી દિલ્હી: દેશમાં અમરનાથ યાત્રાને લઇને તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ચૂકી છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહા તરફથી તેની જાહેરાત કરી દેવાઇ છે. એક એપ્રિલથી દેશભરના રાજ્યો અને યુટીની બેંકોમાં એડવાન્સ રજિસ્ટ્રેશન શરૂ થઇ જશે. કુલ 446 શાખાઓમાં રજિસ્ટ્રેશન શરૂ થશે. સુરક્ષાને લઇને પણ સોમવારથી તૈયારી શરૂ કરાશે. ડીજીપીએ જણાવ્યું છે કે, સુરક્ષા વ્યવસ્થા સમય પહેલા જ પૂરી કરી લેવાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરના ભક્તોને બોર્ડ તરફથી નિશ્વિત બેંકોની શાખાઓમાં જવું પડશે. ત્યાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં મેડિકલની પણ જરૂર પડશે. તે પછી તારીખ મુજબ રજિસ્ટ્રેશન થશે. રજિસ્ટ્રેશનની તારીખના એક દિવસ પહેલા કેમ્પમાં પહોંચવું પડશે. તે પછી ગ્રૂપની સાથે ભક્ત આધાર શિબિર ભગવતી નગરથી આગળ જશે.

આ વર્ષે 28 જૂનના રોજ અમરનાથા યાત્રા શરૂ કરવામાં આવી રહી છે, જે 56 દિવસ સુધી ચાલશે. આ યાત્રા 22 ઑગસ્ટે પૂરી થશે. ગત વર્ષે કોરોનાના કારણે યાત્રા યોજાઇ ન હતી. વર્ષ 2019માં યાત્રા સમય કરતા પહેલા બંધ કરી દેવાઇ હતી, કેમ કે એ દરમિયાન રાજ્યમાંથી કલમ 370 હટાવાઇ હતી. સ્થિતિ વણસે એવા સંજોગોને પગલે યાત્રાને વહેલી બંધ કરી દેવાઇ હતી.

આ વખતે યાત્રાને લઈને મોટું પગલું ઉઠાવ્યું છે. આ વર્ષે યાત્રા દરમિયાન કોરોના એસઓપીનું પુરું પાલન કરીને યાત્રા યોજવામાં આવશે. તે ઉપરાંત સવારે અને સાંજે આરતીનું લાઈવ ટેલિકાસ્ટ થશે, જેથી જે ભક્તો આવી શક્યા ન હોય તેમને ઘરે બેઠા દર્શન થઈ શકશે.

(સંકેત)